અમદાવાદઃ ગુજરાતનાં પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી રેન મિશ્રાનો કાર્યકાળ ગુજરાત ખાતે પૂરો થતાં વિશ્વ ગુજરાતી સમાજે તેમની સેવાઓને બિરદાવવા વિદાય સમારંભ યોજ્યો હતો.
ગુજરાતમાં રીજીઓનલ પાસપોર્ટ કચેરી અમદાવાદ આવેલી છે. આ કચેરીમાં રીજીઓનલ પાસપોર્ટ અધિકારી તરીકે સામાન્યતઃ વિદેશ વિભાગ અથવા અન્ય વિભાગનાં ઉચ્ચ અધિકારીની નિયુક્તિ થતી હોય છે. કેન્દ્ર સરકારમાં સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વીસ (CSSS)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકે પ્રમોશન મેળવ્યા બાદ રેન મિશ્રાને ગુજરાતના રીજીઓનલ પાસપોર્ટ ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.
ત્રણેક વર્ષથી પણ વધુ સમય રેન મિશ્રાએ પાસપોર્ટ અધિકારી તરીકે સફળ કામગીરી બજાવી હતી. કોવિડ-19 બાદ પાસપોર્ટ અરજદારોનો ઘસારો વધી ગયો હતો. આમ છતાં અનેક પડકારો વચ્ચે રેન મિશ્રાએ પાસપોર્ટ અરજદારોને શક્ય તમામ સહાયતાથી પાસપોર્ટ કચેરીની કામગીરીને સરળ બનાવવાનાં સફળ પ્રયાસો કર્યા હતાં.
તેમની સુંદર કામગીરીને બિરદાવવા વિશ્વ ગુજરાતી સમાજનાં ઉપપ્રમુખ દિગંત સોમપુરાએ ખાસ વિદાય સમારંભ યોજ્યો હતો. ભાવુક થયેલા રેન મિશ્રાએ ગુજરાત માટે વિશેષ લાગણી થઇ હોવાનું જણાવી, અમદાવાદથી બદલી થયા બાદ પણ કેન્દ્ર સરકારની મદદથી કોઇને કોઇ વિભાગ દ્વારા ગુજરાત સાથે જોડાયેલા રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજનાં સભ્યો, કાર્યાલય મંત્રી પુષ્પાબહેન, નામાંકિત પેઇન્ટર્સ NRI, સ્ટેજ, ટીવી ફિલ્મનાં કલાકારો સહિત અનેક અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યાં હતાં