નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ અનંત કુમાર હેગડેએ ફરી એકવાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર પ્રહારો કર્યા છે અને ગાંધીજીના નેતૃત્વમાં થયેલા આઝાદીના આંદોલનને નાટક ગણાવ્યું હતું. ભાજપના આ નેતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ખબર નથી કેમ આવા લોકોને ભારતમાં મહાત્મા કહેવામાં આવે છે. બેંગ્લુરુમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં ઉત્તર કન્નડ લોકસભા બેઠકથી સાંસદ હેગડેએ કહ્યું હતું કે પૂરો સ્વતંત્રતા સંગ્રામ અંગ્રેજોની સહમતી અને મદદથી થયો હતો. કથિત નેતાઓ પર પોલીસે એક વખત પણ બળપ્રયોગ કર્યો નથી. તેમનો સ્વતંત્રતા સંગ્રામ એક નાટક હતું અને ઉમેર્યું હતું કે સ્વતંત્રતા સંઘર્ષને મહાત્મા ગાંધી સહિતના લોકોએ બ્રિટિશ લોકોની સહમતીથી રંગમંચ ઉપર ઉતાર્યો હતો. તેમણે મહાત્મા ગાંધીનાં ભૂખહડતાળ અને સત્યાગ્રહને પણ નાટક ગણાવ્યાં હતાં.