જયપુર: કરણી સેનાના ટોચના સ્થાપક અને રાજપૂત સમાજના સુપ્રીમો લોકેન્દ્ર સિંહ કાલવીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. લોકેન્દ્ર સિંહ કાલવી ઘણા સમયથી બીમાર હતા. તેઓને હાર્ટ એટેક આવતા તેનું નિધન થયુ હતું. તેઓ ૮૦ વર્ષના હતા. તેમની સારવાર જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ચાલી રહી હતી. રાજપૂત સમાજના મુખ્ય અગ્રણી લોકેન્દ્રસિંહ કાલવી નિધન બાદ રજપૂત સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લોકેન્દ્ર સિંહ કાલવીના નિધન બાદ કરણી સેનાના કાર્યકરો મોડી રાત્રે એસએમએસ હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. તેમના મૃતદેહને નાગૌર જિલ્લાના તેમના વતન ગામ કાલવી લઈ ગયા. જ્યાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લોકેન્દ્ર સિંહના પિતા કલ્યાણ સિંહ કાલવી ચંદ્રશેખર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને તેઓ ચંદ્રશેખરના વિશ્વાસુ સાથી પણ હતા. તેમના પિતાના અકાળ મૃત્યુ પછી લોકેન્દ્ર સિંહ કાલવીને ભૂતપૂર્વ વડા પ્રધાનના સમર્થકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેણે અજમેરની મેયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો.