હિમાચલ પ્રદેશની રાજનીતિના ચાણક્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પંડિત સુખરામનું અવસાન

 

મંડીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પંડિત સુખરામ શર્માનું ૯૪ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ૭મી મેથી દિલ્હીની ખ્ત્ત્પ્લ્ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. ૪ મેના રોજ તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેથી તેમને મંડી (હિમાચલ પ્રદેશ)ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને એરલિફ્ટ કરીને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન અને અંતિમ ક્રિયા માટે મંડી લઈ જવામાં આવશે. પંડિત સુખરામના પૌત્ર આશ્રય શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી પોતાના દાદાના અવસાનની જાણકારી આપી હતી. આશ્રય શર્માએ મંગળવારે મોડી રાત્રે દાદા સાથેની બાળપણની એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, અલવિદા દાદાજી, હવે ફોનની ઘંટી નહીં વાગે. પંડિત સુખરામના બીજા પૌત્રનું નામ આયૂષ શર્મા છે જે બોલિવુડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ છે. પંડિત સુખરામે વર્ષ ૧૯૯૩થી ૧૯૯૬ દરમિયાન કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓ મંડી લોકસભા બેઠક પરથી સાંસદ પણ રહી ચુક્યા હતા. તેઓ વિધાનસભા ચૂંટણીમાં પાંચ વખત તથા લોકસભા ચૂંટણીમાં ત્રણ વખત વિજયી બન્યા હતા. તેમનો દીકરો અનિલ શર્મા મંડીમાં ભાજપનો ધારાસભ્ય છે.