નવી દિલ્હી: દેશનું એવિએશન સેક્ટર છેલ્લા કેટલાક દિવસથી ભારે પડકારોનો સામનો કરી રહ્યું છે. ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ખરાબ વાતાવરણને કારણે ફ્લાઈટ શેડ્યુલ ખોરવાયું હતું. એવામાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એર ઈન્ડિયા પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ₹1.10 કરોડનો દંડ ફટકાર્યો છે. DGCAએ જણાવ્યું હતું કે એરલાઈને લાંબા અંતરની કેટલીક ફ્લાઈટ્સમાં સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. એર ઈન્ડિયાના ભૂતપૂર્વ પાઈલટે ગયા વર્ષે 29 ઓક્ટોબરના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCAને ફરિયાદ કરી હતી. ડીજીસીએએ જણાવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલી વ્યાપક તપાસમાં પ્રથમ દ્રષ્ટીએ એરલાઇન દ્વારા નિયમોનું પાલન ન થયું હોવાનું બહાર આવ્યું છે. DGCA દ્વારા જારી કરાયેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “એર ઇન્ડિયા લિમિટેડના એકાઉન્ટેબલ મેનેજરને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. કારણ બતાવો નોટિસના જવાબને યોગ્ય રીતે તપાસવામાં આવ્યો હતો.” અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, ઇન્ડિગોને ₹1.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે તેની એક ફ્લાઇટના મુસાફરોને રનવે પર બેસી રહેવું પડ્યું હતું અને ત્યાજ ડીનર લેવું પડ્યું હતું. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ ઘટના અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી.