હેડક્લાર્ક પરીક્ષા પેપરલીક કૌભાંડમાં ગુજરાતમાં હોબાળોઃ પરીક્ષા મુલતવી

 

ગાંધીનગરઃ ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ૧૨ ડિસેમ્બરે લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટવાના મામલે એક સપ્તાહ પછી આમ આદમી પાર્ટીએ ઓચિંતા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હલ્લાબોલ કરી દેખાવો યોજ્યા હતા. આપના કાર્યકરોએ ભાજપ કાર્યાલયનો દરવાજો ખોલીને જબરજસ્તીથી અંદર ઘૂસી આવ્યા હતા અને આને કારણે કાર્યાલય પટાંગણમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે આપના કાર્યકરોને બહાર કાઢવા માટે કાર્યકરો તથા પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આને કારણે પોલીસે નછુટકે લાઠીચાર્જનો આશરો લીધો હતો. બીજી તરફ આ અંધાધૂંધી વચ્ચે એક ટોળાંએ ભાજપના મહિલા મોરચાના કાર્યકરો સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ થયો છે.

આ અંગે ભાજપ મહિલા મોરચાના પદાધિકારીઓએ પોલીસ સમક્ષ લેખિત અરજી આપી હતી કે, આપના કાર્યકરોના ટોળાએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને એમાંના કેટલાક નશાની હાલતમાં હોય એવું જણાતા હતા. આથી પોલીસે આપના નેતા ઇસુદાન ગઢવીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જઇ લોહીના નમૂના પરીક્ષણ માટે એફએસએલને મોકલાવ્યા હતા. ગાંધીનગર પોલીસે સમગ્ર ઘટનામાં આપના ૭૦ કાર્યકરો સામે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિતની બિનજામીનપાત્ર કલમો લગાવી ધરપકડ કરી છે. હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાના ૧૦ ડિસેમ્બરે ફરતાં થયેલા પ્રશ્નપત્ર અંગે આપના જ એક આગેવાન અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સૌ પ્રથમ આરોપ લગાવ્યો હતો. આ પછી પોલીસે ત્રણ દિવસની તપાસના અંતે પેપરકાંડમાં સંડોવાયેલા ૬ આરોપીને ઝડપી લઇ અન્ય સંડોવાયેલાની શોધખોળ શરૂ કરી હતી. સમગ્ર ઘટના ક્રમને એક સપ્તાહનો સમય થયા પછી એકાએક આમઆદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, પ્રવિણ રામ સહિતના નેતાઓના વડપણ હેઠળ દોઢસો બસ્સો કાર્યકરોએ બપોરે ભાજપ કાર્યાલયે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. એકાએક આટલી મોટી સંખ્યામાં પડદા પોસ્ટર અને બેનર્સ સાથે ધસી આવેલા આપના કાર્યકરોને કાર્યાલયમાં પ્રવેશતા રોકવા સલામતી રક્ષકોએ પ્રયાસ કર્યો હતો. જોકે, ટોળાએ દરવાજો ખોલીને અંદર ધસી આવી અડધા કલાક સુધી ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું લઇ સમગ્ર પેપરકાંડમાં તટસ્થ તપાસ યોજવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. ભાજપ કચેરી દ્વારા આપના કાર્યકરો ઘુસી આવ્યા અંગે પોલીસને જાણ કરાતા ગાંધીનગર પોલીસ પહોંચી હતી અને કાર્યકરોને કમલમ પટાંગણમાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ દરમિયાન આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ખાસ્સી માથાકૂટ થઇ હતી અને પોલીસ સાથે ઝપાઝપી થતાં આખરે લાઠીચાર્જ કરાયો હતો. ઘટનાની જાણ થતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ કમલમ દોડી ગયા હતા અને પેપર લીક મામલે યોગ્ય દિશામાં તપાસ ચાલી રહી હોવા છતાં રાજકીય રોટલો શેકવા આપના નેતાઓ પ્રયાસ કરી રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. 

મંત્રી જીતુ વાઘાણીને અસિત વોરાનું રાજીનામું કેમ લેવાતુ નથી તેવો સીધો સવાલ કરતા તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ નિર્દેશ છે અને કેબિનેટમાં પણ તે મુદ્દે ચર્ચા થઇ છે કે આ મુદ્દે તપાસમાં જેની સામે તથ્ય બહાર આવશે તેને છોડવામાં આવશે નહીં. હાલ સરકાર દ્વારા પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here