કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે હવે કુદરત જુદા જુદા સ્વરૂપે માનવ જીવનને વધુ તકલીફમાં મૂકીરહી છે. તાજેતરમાં ગોવામાં વાવૈાઝોડા નિસર્ગની ભારે અસર થવાને કારણે પૂરજોશમાં વરસાદ ત્રાટકી રહ્યો છે. અરબી સમુજ્રમાં બનેલું લો- પ્રેશર વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ લઈને ચક્રવાતમાં પરિણામે એવી પૂરી સંભાવના હોવાનું દેશના હવામાન વિભાગે જણાવ્યું હતું. વાવાઝોડાની અસર ગુજરાત- અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ થશે.. મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડુ ટકરાવાની શક્યતા હતી તે ભય હવે ટળી ગયો છે. ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો જતો રહ્યો છે, પરંતુ વાવાઝોડાને લીધે સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફુંકાવાની દહેશત છે. જો કે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નહિ થાય એવી હવામાન વિભાગે આગાહી કરી હતી. હવે આ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે એવું મનાય છે. ગુજરાતમાં 100 થી 120 કિ.મીની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડું દમણ અને રાયગઢ વચ્ચેથી પસાર થશે. માછીમારોને 4 જૂન સુધી દરિયાે નહિ ખેડવાની સલાહ આપવામાં આવી હતી. સુરતના ડુમસ, સુવાલીના દરિયાકાંઠે પ્રવાસીઓના જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, વાપીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો, જયારે વલસાડના 35 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ટેલિફોન પર વાતચીત કરી વાવાઝોડાની વિગતો જાણી હતી. વાવાઝોડાનો સામનો કરવા અને સંભવિત પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા જળવાય તેમજ તેમને કશી તકલીફો ન પડે તે બાબત કાળજી લેવાનું જણાવ્યું હતું. તેમણે ગુજરાત સરકારદ્વારા લેવામાં આવેવાં આગોતરા પગલાં એને તૈયારી અંગેની વિગતો પણ મેળવી હતી.