નાસિક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દશેના સૌથી લાંબા સી-બ્રિજ ‘અટલ સેતુ’નું ઉદઘાટન કર્યું હતું. આ પુલ મુંબઈને નવી મુંબઈથી જોડશે. આ પુલથી બે કલાકની સફર 20 મિનિટમાં થશે. ડિસેમ્બર 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ બ્રિજમાં કુલ ખર્ચ 17 હજાર 543 કરોડ રૂપિયા થયો છે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદી નાસિક ગયા હતા જ્યાં તેમણે 27મા રાષ્ટ્રીય યુવામહોત્સવનું ઉદઘાટન કર્યું હતું અને કાલારામ મંદિરમાં સફાઈ કર્યા બાદ દેશભરના મંદિરોમાં 22મી જાન્યુઆરી સુધી સાફ સફાઈ કરવા લોકોને આહ્વાન કર્યું હતું. 21.8 કિલોમીટર લાંબા સિક્સ લેનના અટલપુલને મુંબઈ ટ્રાન્સ હાર્બર સી-લિન્ક (એમટીએચએલ) તરીકે પણ ઓળખવામાં આવે છે. પુલનો 16.5 કિલોમીટરનો હિસ્સો દરિયા પર અને 5.5 કિલોમીટરનો હિસ્સો જમીન પર છે. પુલની ક્ષમતા દૈનિક 70 હજાર વાહનોની અવર-જવરની છે.
ત્યારબાદ વડાપ્રધાન મહારાષ્ટ્રના નાસિક પહોંચ્યા હતા. સ્વામી વિવેકાનંદની જંયતીએ 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશનો અંદાજ અને મિજાજ સંપૂર્ણ રીતે યુવા છે.
આ પ્રસંગે મોદીએ દોઢ કિલોમીટરનો રોડ-શો કર્યો હતો અને કાલારામ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમણે ‘દક્ષિણની ગંગા’ તરીક ઓળખાતી ગોદાવરીમાં ગંગાપૂજા પણ કરી હતી.
યુવા મહોત્સવને સંબોધતાં તેમણે કહ્યું ક,ે જે યુવા હોય છે તે કદી પાછળ રહેતો નથી પરંતુ નેતૃત્વ સંભાળે છે. અંતરીક્ષમાં મોકલવામાં આવેલાં ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 તેના પુરાવા છે.
વડાપ્રધાન મોદીએ રામમંદિર ઉદઘાટન સંદર્ભે લોકોને તમામ મંદિરોમાં 22મી જાન્યુઆરી સુધી સાફ-સફાઈ કરવા આહ્વાન પણ કર્યું હતું.
રોડ-શો દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ જોડાયા હતા. મોદીએ પરિવારવાદની રાજનીતિને દેશ માટે જોખમકારક ગણાવતાં કહ્યું હતું કે, તેનાથી દેશને નુક્સાન થયું છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્રની શક્તિ યુવાઓના ખભે ટકેલી હોય છે. ભારત દુનિયાની ટોચની પાંચ અર્થવ્યવસ્થામાં સામેલ છે. આપણો દેશ નવી-નવી શોધ કરી રહ્યો છે, ભારત ઉત્પાદન હબ બન્યો છે આ બધા પાછળ દેશના યુવાઓની તાકાત છે.