શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં હાજરી આપવા માટે ખાસ ચીનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચીનના કિંગદાઓ શહેરમાં ચીનના પ્રમુખ શી જિનપિંગની મુલાકાત લીધી હતી. બન્ને નેતાઓએ ચર્ચા- વિચારણા કરી હતી. જેમાં દ્વિપક્ષીય સહકારના દરેક પાસાઓ વિષે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને ચીનના સ્થિર અને મજબૂત સંબંધોથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. મોદીઓ વુહાનમાં થયેલી અનૌપચારિક મુલાકાતનું સ્મરણ કર્યું હતું. નરેન્દ્ર મોદી એસસીઓના સેક્રેટરી જનરલ રાશિદ અલિમોવને પણ મળ્યા હતા. આ સમિટમાં સૌપ્રથમવાર ભારત અને પાકિસ્તાન બન્ને સભ્ય તરીકે સામેલ થયા છે. નરેન્દ્ર મોદી આ સંમેલનમાં ભાગ લેવાની સાથે સાથે સંમેલનમાં ઉપસ્થિત રહેલા અન્ય ચાર દેશોના વડાઓ સાથે વાટાઘાટો પણ કરશે. અમેરિકાની સાથે કરાર તૂટ્યા બાદ આ સંમેલનમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને ચીન, રશિયા અને ભારત ટેકો પણ આપી શકે છે.