ગાંધીનગરઃ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસનો પ્રકોપ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને ૧-જૂનથી લાગુ કરવામાં આવેલા અનલોક-૧ છતાં કોરોનાનું સંક્રમણ વકરતું જાય છે. ગુજરાત માટે જૂન મહિનો જીવલેણ બની રહ્યો હોય તેમ શરૂઆતના ૧૬ દિવસમાં જ ૫૦૦થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ગુજરાતમાં છેલ્લા ૭ દિવસથી દરરોજ સરેરાશ ૫૦૦થી વધુ નવા પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાંથી ૩૨ ટકા કેસ માત્ર જૂન મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ સામે આવ્યા છે. રાજ્યમાં સતત ચોથા દિવસે પણ કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૦૦ને પાર પહોંચી ગઈ છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા ૧૬ દિવસમાં કોરોનાના ૭૮૩૪ પોઝિટિવ કેસો નોંધાયા છે.