રાજકોટમાં સો કરતા વધારે મંદિરમાં લગાડાયા ડ્રેસકોડના પોસ્ટર

રાજકોટઃ આજકાલ મંદિરોમાં અમુક પ્રકારના વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ મૂકાવા લાગ્યો છે. દેશના ઘણા મંદિરો છે જ્યાં અમુક પ્રકારના કપડા પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે હવે રાજકોટમાં એક નહીં પણ લગભગ સો કરતા પણ વધારે મંદિરોએ ડ્રેસકોડ જાહેર કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અહીં લગભગ 100થી વધુ મંદિરોમાં પોસ્ટરો લાગ્યા છે. મંદિરની અંદર ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર મનાઈ છે. અહીંની સનાતન સ્વરાજ નામની સંસ્થાએ પોસ્ટર લગાવ્યા છે. શહેરના 100થી વધારે મંદિરોમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં મંદિરમાં પ્રવેશને લઇને ડ્રેસકોડ રાખવામાં આવ્યો છે. તેમાં મંદિરની અંદર કેપ્રિ, બરમુંડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ નહિ કરવાની સૂચના દર્શાવતા બોર્ડ લાગ્યા છે. સનાતન સ્વરાજ નામની સંસ્થાએ પોસ્ટર લગાવ્યા છે. તાજેતરમાં જ ઉત્તરાખંડમાં મંદિરોમાં પ્રવેશ માટે ડ્રેસ કોડ લાગુ કરાયો હતો. શરીરને 80 ટકા સુધી વસ્ત્રોથી ઢાંક્યા વિના મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઉત્તરાખંડના પ્રખ્યાત શિવ મંદિરોમાં કડકાઈથી ડ્રેસ કોડ લાગુ કરવા માટે મહાનિર્વાણી અખાડાએ આ આદેશ આપ્યો છે. આ નિર્ણયને લીધે મહાનિર્વાણી અખાડાના ત્રણ મોટા મંદિરોમાં ટૂંકા કપડાં, અશ્લીલ કહેવાય તેવા વસ્ત્રો પહેરીને જતા યુવક-યુવતીઓ પ્રવેશ નહીં કરી શકે. એ જ રીતે હરીદ્વારના પ્રખ્યાત દક્ષ મંદિર, ઋષિકેશના નીલકંઠ અને દેહરાદૂનના ટપકેશ્વર મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ કરાયો છે. આ ત્રણેય શિવમંદિરો છે. અખાડાના મહંત અને અખાડા પરિષદના અધ્યક્ષ, મહંત રવિન્દ્ર પૂરીએ જણાવ્યું કે જેમનું શરીર 80 ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here