માત્ર ‘ઈન્ડિયા’ નામ રાખવાથી ભારતીય નથી બની જવાતું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હરાવવા વિપક્ષનો મોરચો એક મંચ પર આવ્યો છે અને આ સંગઠનને ‘ઈન્ડિયા’ નામ આપ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના આ ગઠબંધન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આ દેશને લૂંટી જનારી બ્રિટિશ કંપની ઈસ્ટ ઈન્ડિયા અને આતંકી સંગઠનો ઈન્ડિયન મુજાહિદ્દિન તથા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયામાં પણ ‘ઈન્ડિયા’ નામ હતું. માત્ર ‘ઈન્ડિયા’ નામ રાખવાથી ભારતીય નથી બની જવાતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાબ આપતાં કહ્યું, ‘અમને જે કહેવું હોય તે કહો’ પરંતુ અમે ઈંન્ડિયન છીએ અને અમે મણિપુરમાં પણ ઈંડીયાનો વિચાર પ્રસારવાનાં છીએ.
સંસદમાં છેલ્લા ૪ દિવસથી ચાલી રહેલી ધાંધલ ધમાલ પ્રત્યે પ્રતિભાવ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું: આવા દીશાહીન વિપક્ષો મેં આજ સુધી જોયા નથી. તે લોકો ભ્રમિત છે, તેઓ તે નક્કી નથી કરી શક્તા કે તેમણે શું કરવું છે. તેટલું જ નહીં, પરંતુ તેમનાં વર્તન ઉપરથી તો એવું લાગે છે કે તેઓ આગામી દસ વર્ષ સુધી તો સત્તા ઉપર આવી શકશે જ નહીં, કદાચ આવવા માગતા નથી.
વધુમાં તેમણે ઉમેર્યું કે, માત્ર સંગઠનનું નામ ઈન્ડિયા કે ઈન્ડિયન કરવાથી કોઈ ભારતીય થઇ નથી જતું. તેમણે કહ્યું કે ઇન્ડિયન મુજાહિદ્દીન અને ઇસ્ટ ઇંડીયા કંપનીના નામમાં પણ ‘ઈન્ડિયા’ શબ્દ છે.
વધુમાં વડાપ્રધાને લોકસભામાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇંડીયાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે,આ સંગઠનનાં નામમાં પણ ઇંડીયા છે. વડાપ્રધાનનું આ વલણ દર્શાવે છે કે, મણિપુર અંગે સંસદમાં પ્રધાનમંત્રીના નિવેદનની વિપક્ષોની માગણી સામે સરકાર ઝૂકશે નહીં. કેન્દ્રના પૂર્વ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઈસ્ટ ઇંડીયા કંપની બંનેની સ્થાપના બ્રિટિશરોએ કરી હતી. બીજી તરફ અનેક સંગઠનો ઈંડીયન મુજાહીદ્દીન અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇંડીયા જેવા નામ રાખે છે. તેઓ પોતાને ભારતીય તરીકે દર્શાવે છે, પરંતુ તેમનું વર્તન તદ્દન વિરૂદ્ધ હોય છે. દરમિયાન વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કટાક્ષ સામે વળતા પ્રહારો કરતાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે રાજ્યસભામાં મણિપુર, જે સળગી રહ્યું છે તેના મુદ્દે ચર્ચાની માગણી કરીએ છીએ અને વડાપ્રધાન ગૃહની બહાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ઈન્ડિયા સાથે સરખાવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ હંમેશા ભારત માતા સાથે છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયાએ કહ્યું હતું કે, ગૃહમાં વડાપ્રધાને મણિપુર મુદ્દે નિવેદન આપવું જોઈએ તેવી અમારી માગણીમાં ખોટું શું છે? વડાપ્રધાન મોદી મણિપુર મુદ્દે માત્ર ૩૬ સેકન્ડ બોલ્યા અને મીડીયાએ કહી દીધું કે વડાપ્રધાને મૌન તોડયું છે. આ વચ્ચે વિપક્ષી દળોએ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પણ તૈયારી કરી દીધી છે. ટીએમસીના એક સાંસદ તે અંગે ઇશારો પણ કરી દીધો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ તો લોકસભામાં રજૂ થઇ શકે છે, અને તેમાં જો સરકાર પરાજિત થાય તો, સરકાર સત્તાભ્રષ્ટ થાય છે. વડાપ્રધાને ત્યાગપત્ર આપવું પડે છે. જો કે અત્યારે લોકસભામાં ભાજપની પોતાની સભ્ય સંખ્યા બહુમત ધરાવે છે. જ્યારે સમગ્ર એનડીએ ગઠબંધન પાસે ૩૫૩ સીટો છે. અવિશ્વાસ પ્રસ્તાવ માટે ૫૦ સાંસદોની સહી જોઇએ. એકલા કોંગ્રેસ પાસે ૫૯ સીટો છે તેથી તે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here