કિંગ ફિશર એરલાઈન્સના માલિક અને શરાબનું ઉત્પાદન કરનારા વેપારી વિજય માલ્યાએ ભારત છોડીને ભાગવા અગાઉ નાણાંમંત્રી અરુણ જેટલી સાથે વાતચીત કરી હતી એ બાબતની જાણકારી મળતાં હવે દેશના રાજકીય ક્ષેત્રમાં આક્ષેપ- પ્રતિ આક્ષેપનો દૌર શરૂ થઈ ગયો છે. ભાજપના અગ્રણી નેતા અને હંમેશા તેજાબી નિવેદનો કરવા માટે જાણીતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે ટવીટ દ્વારાકહયું હતું કે, આ અંગે નાણાપ્રધાન અરુણ જેટલીએ પોતાની વાતનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. નાણાપ્રધાન આ બાબત પ્રશ્નોના ઘેરામાં આવી ગયા છે. તેઓ આ તથ્યને નકારી શકે નહિ. સ્વામીએ કહયું હતું કે, માલ્યાની સામે લુકઆઉટ નોટિસ 24 ઓકટોબર, 2015ના દિવસે હળવી કરવામાં આવી હતી. તેમના સ્ટેટસને બ્લોગથી રિપોર્ટ કરવામાં આવ્યું હતું. જેને કારણે વિજય માલ્યાને આશરે 54 જેટલી ચકાસણી કરવામાં આવેલી ચીજવસ્તુઓ પોતાની સાથે લઈને દેશની બહાર જવામાં આસાની થઈ હતી. પોતે અરુણ જેટલીને મળ્યા હતા તેવી વિજય માલ્યાની વાત જાહેર થતા દેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
આજે મિડિયાની સામે રજૂઆત કરતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે, સંસદમાં અરુણ જેટલી અને વિજય માલ્યા વચ્ચે વાતચીત થઈ હતી. જે કોંગ્રેસના નેતા પી એસ પુણિયાએ નિહાળી હતી. રાહુલ ગાંધીએ અરુણ જેટલી પર ગંભીરપણે આક્ષેપ કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અરુણ જેટલી પણ બ્લોગ પર લખે છે, પણ તેમણે કદી પોતે વિજયમાલ્યાને સંસદમાં મળ્યા હતા એ વાતનો ઉલ્લેખ કર્યો નહોતો. રાહુલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અરુણ જેટલી અને વિજયા માલ્યા વચ્ચે નક્કી કોઈ સોદો થયો હતો. આ મામલાની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. નાણાપ્રધાન અરુણ જેટલીએ રાજીનામું આપવું જોઈએ. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, માલ્યાને લંડન ભાગી જવાનો મોકો આપવામાં આવ્યો હતો. ધરપકડ કરવાની નોટિસને ઈન્ફોર્મ નોટિસમાં ફેરવી દેવામાં આવી હતી. સાચી હકીકત અરુણ જેટલી જણાવતા નથી. સરકાર ખોટું બોલી રહી છે.