બ્રેઇન ડેડ રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણને નવજીવન

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૭મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે.
૧૪ મી નવેમ્બરે રાજારામ જયસ્વાલને હેમરેજ થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ૭ દિવસની સઘન સારવારના અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાં હતાં.
૭ દિવસ જીંદગી અને મૃત્યુ વચ્ચે ઝઝુમી જ્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા ત્યારે સમગ્ર પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પરંતુ આવી દુ:ખની ઘડીમાં પણ પરોપકાર ભાવ સાથે પરિજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદોના જીવનમાં સુખનો સૂરજ ઉગાડ્યો હતો.
બ્રેઇન ડેડ રાજારામના અંગોના રીટ્રાઇવલના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ જેને સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમા દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ આ અંગદાનના સંદર્ભે જણાવ્યું હતું કે, દિવાળી બાદ નવા વર્ષમાં આ જયસ્વાલ પરિવાર તરફથી કરવામાં આવેલ અંગદાને માનવતાની મિસાલ પ્રસ્થાપિત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ સિવિલમાં અત્યારસુધીમાં થયેલ ૧૩૭ અંગદાનમાં ૪૪૦ અંગો પ્રાપ્ત થયા છે. પ્રજાજનોમાં જાગૃતતા આવી રહી છે તેમ તેમ અંગ દાનમાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here