બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને લાલુપ્રસાદ યાદવના ધર્મપત્ની રાબડીદેવીના નિવાસસ્થાન પર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા હોવાની માહિતી સત્તાવાર સૂત્રોએ આપી હતી. રાબડીદેવીના પુત્ર અને બિહારના પૂર્વ ઉપ- મુખ્યમંત્રી તેજસ્વી યાદવની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આઈઆરસીટીસી દ્વારા હોટેલોની જાળવણી – સંભાળ કે સંચાલન માટે જારી કરાતા ટેન્ડરોની કાર્યવાહીમાં આચરવામાં આવેલી ગેરરીતિ અને અનિયમિતતા બાબત તપાસ ચાલી રહી છે. લાલુપ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા ત્યારે તેમના શાસનકાળ દરમિયાન અપાયેલા ટેન્ડરો વિષયક કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ અગાઉ પણ લાલુપ્રસાદ, તેમજ તેમના પુત્રોની સીબીઆઈ દ્વારા સઘન તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી.લાલુપ્રસાદ યાદવ હાલમાં બીમાર હોવાથી તેમનો દિલ્હીની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.