લંડનઃ બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકે પણ એક મુલાકાતમાં કહ્યુ છે કે, બાળપણમાં મને પણ વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, મારા માતા પિતા ઈચ્છતા હતા કે હું પણ બ્રિટનના બીજા બાળકો જેવી રીતભાત શીખું અને તેમની જેમ બોલુ. આ માટે મને મારા માતા પિતાએ સ્કૂલમાં ચાલતા ડ્રામાના વર્ગોમાં મોકલ્યો હતો. તેમણે આગળ કહ્યુ હતુ કે, મેં એક બાળક તરીકે વંશીય ભેદભાવનો અનુભવ કરેલો છે. મારા નાના ભાઈ બહેનો માટે વપરાયેલા અપશબ્દો મને હજી પણ યાદ છે. વંશીય ભેદભાવના કારણે બહુ દર્દનાક લાગણી અનુભવાતી હોય છે અને બીજી કોઈ પણ વસ્તુ કરતા તેનાથી અનુભવાતી પીડા વધારે હોય છે. સુનકે કહ્યુ હતુ કે, મને લાગે છે કે બાળક તરીકે મારે જે સહન કરવુ પડ્યુ છે તે મારા બાળકોને નહીં કરવુ પડે. મારા માતા પિતા ઈચ્છતા હતા કે મારો અને મારા ભાઈ બહેનનો ઉછેર બ્રિટનના બીજા બાળકો જેવો થાય અને ખાસ કરીને મારી માતાને અમે કેવી રીતે વાત કરીએ છે અને અમારા ઉચ્ચારો કેવા છે તેની વધારે ચિંતા રહેતી હતી. અમારા ઉચ્ચારણો વાતચીત દરમિયાન ચોક્કસ હોય તેનુ તે ઝનુનપૂર્વક ધ્યાન રાખતી હતી.