કોલકાતાઃ આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. બીજી તરફ ભાજપે બંગાળમાં લોકસભાની 42માંથી 35 બેઠકો પર જીત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સોમવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા અને મંગળવારે બંગાળ ભાજપની કોર કમિટી સાથે બેઠક કરી હતી. બંગાળમાં અમિત શાહે સીએમ મમતા બેનર્જી પર નિશાન સાધતા CAAનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે CAAના અમલીકરણને કોઈ રોકી નહીં શકે કારણ કે, તે દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. બંગાળમાં આયોજિત ભાજપ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે, અમારે આગામી વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનાવવા માટે કામ કરવાનું છે. બંગાળમાં ભાજપ સરકાર બનવી એનો અર્થ એ કે, ઘૂસણખોરી, ગાયની તસ્કરીનો અંત અને CAAના માધ્યમથી ધાર્મિક રીતે અત્યાચાર ગુજારવામાં આવેલ લોકોને નાગરિકતા પ્રદાન કરવી. CAA મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવા બદલ ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ક્યારેક-ક્યારેક તેઓ લોકોને, શરણાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે.