પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે કારમો પરાજય સહેવો પડયો. ભાજપના નેતાઓ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 દરમિયાન લોકોને આપેલાં વચનો પરિપૂર્ણ ન થવાથી લોકમત ભાજપની વિપરીત ગયો હોવાનું માનવામાં આવે છે. રાયબરેલી સોનિયા ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે. આ મત વિસ્તારમાં કોંગ્રેસનું ખાસ્સું વર્ચસ્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમવારની સભા હતી. સભામાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ પ્રવચન આપ્યું હતું. આમ છતાં તેમની હાજરીપણ લોકોને આકર્ષિત કરી શકી નહોતી. આ સભાને સફળ બનાવવામા માટે યુપીનું આખું વહીવટીતંત્ર કામ કરી રહયું હતું. ભાજપના પદાધિકારીઓએ પણ સભામાં વધુ સંખ્યામાં લોકો આવે તેમાટે અથાગ પ્રયાસો કર્યા હતા. અગાઉ વડાપ્રધાનની સભામાં લોકો મેળાની જેમ એકઠા થતા હતા. નરેન્દ્ર મોદીને સાંભળવા માટે દૂર દૂરના વિસ્તારોમાંથી લોકો આવતા હતા. પરંતુ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ધબડકો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પણ જનમેદની વિના શુષ્ક અને આકર્ષણવિહોણી બની ગઈ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી હોવાની આ એંધાણી છે એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.