આરોગ્યવર્ધક કહેવતો

સાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઉખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે.
જૂના કાળે આજના જેવી શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું. આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતીઃ
ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન ત્રિલોકને અવર ન ઔષધ કોય.

શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ

દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય,
ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય.

ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળુ જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય.

દૂધ, અનાજ અને કઠોળ માણસમાત્રનો રોજિંદો આહાર છે. આ આહાર કેમ લેવો, કેટલો લેવો, ક્યારે લેવો એનું જ્ઞાન જૂના કાળે આરોગ્ય સાથે જોડાયેલી કહેવતો આપતી. કોઠાસૂઝવાળા લોકકવિઓના અનુભવ આરોગ્યરક્ષક અનાજ કઠોળની કહેવતોની આજે મારે વાત કરવી છે. અહીં લોકકવિઓએ અનુભવ જે તે અનાજને મોઢે બોલાવ્યો છે, છે તો નાનકડી જ વાત, પણ અહીં લોકકવિની જે તે વિષયની સૂક્ષ્મ સૂઝ તરી આવે છેઃ
ઘઉં કહે હું લાંબો દાણો, વચમાં પડી લી,
મારી મજા લેવી હોય તો લાવો ગોળ ને ઘી.

ઘઉંની પોળી નીપજે, ઘઉંના ઘેબર થાય,
જેવા ઘઉં કેળવે, તેવાં ભોજન થાય.

ઘઉં એ અનાજનો રાજા છે. ઘઉંમાંથી થૂલી, ઘઉંના લોટમાંથી રાબ, સુખડી, શીરો, લાડવા, રોટલી, ભાખરી, પૂરી, થેપલાં, પરોઠાં, સેવ, હલવો, બરફી, ચૂરમું, ઘઉંના મેંદામાંથી સુંવાળી, ઘારી, ઘઉંના પોંકનું જાદરિયું, ઠોર, જલેબી, માલપૂઆ, ઘેબર, ઘેંસ, લાપસી વગેરે બને છે. ઘઉંની પણ કેટકેટલી જાતો. ભાલિયા, બંસી, કાઠા, પૂનમિયા, પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન, રાતાઘઉં વગેરે. ઘઉં સ્નિગ્ધ, મધુર, બળકર, ધાતુવર્ધક, સારક, વાયુ કરનાર અને કફનાશક મનાય છે. લોકસમાજે ભાવતાં ભોજન સાથે ભગવાનનેય કેવા જોડી દીધા છે!
રામનામ લાડવા, ગોપાળ નામ ઘી,
કૃષ્ણનામ ખીર ખાંડ, ઘોળી ઘોળી પી.
અર્થાત્ઃ દૂધ, ઘી, ખાંડ, દૂધની ખીર અને લાડવા રામ અને કૃષ્ણનું નામ લેતાં લેતાં ખાતાં રહો. ઘઉં પછી બાજરી આવીને બોલે છેઃ
કાળી છું પણ કામણગારી, લેશો ના મુજ વાદ,
વાદ કર્યામાં વળશે શું, પણ જોઈ લ્યો મુજ સ્વાદ.
બાજરો એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય છે કે કચ્છનો રાજવી લાખો ફુલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન મળે. એવામાં ખેતરમાં અનાજનાં ડૂંડાં જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ એ ડૂંડા ખાવા માંડ્યાં. થોડા દીમાં તો ઘોડામાં તાકાત આવી અને ઉંમરલાયક બુઢ્ઢાઓને નવી જુવાની ફૂટીઃ
બલિહારી તુજ બાજરા, જેનાં લાંબાં પાન,
ઘોડાને પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન

કિંવદંતી કહે છે કે, લાખો ફુલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજારજવાડામાં ને ગામધણી દરબારો ને ઘરધણી માણસ ઉત્તમ ઓલાદના અશ્વો રાખતા અને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઉંમરે માણસને માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો એટલે કહ્યું છે કે, બુઢ્ઢા થયા જુવાન. બાજરીની બીજી પણ કહેવતો છે બાજરી કહે હું બળ વધારું, ઘઉં કહે હું ચોપડ માગું. હવે લીલુડા મગની કેફિયત આવે છે, મગ શું કહે છે?
મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદું,
મારો ખપ ત્યારે પડે, માણસ હોય માંદું.
બધા પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને દાણા ઉપર એને કાંટો ફૂટે ઈ જગ્યાએ ટપકું, ચાંદું હોય છે. આવા મગની જરૂર બે પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપસી સાથે મગનું શાક શુકન ગણાય છે. એથીયે આગળ ચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી લીધો હોય ને આઠ-દસ માતરાયું (લાંઘણ ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના ખોરાકની શરૂઆત વૈદ્યો ને ડોક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમ જ અઠ્ઠાઈ ઉપવાસ કરતા જૈનોમાં મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા કાળા મગ. મગ પચવામાં હલકા, શીતળ, સ્વાદે સહેજ વાતકારક અને નેત્રો માટે હિતકારક છે એમ આયુર્વેદ કહે છે. મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છેઃ (1) મગના ભાવે મરી વેચાય. (2) મોંમાં કંઈ મગ ઓર્યા છે? (3) મગમાંથી પગ ફૂટ્યા. (4) દેરાણી જેઠાણીના મગ ભેગા ચડે, પણ શોક્યોના મગ ભેગા ન ચડે. (5) હજી ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે? (6) વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે. (7) એક મગની બે ફાડ્ય. (8) જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છેઃ
જુવાર કહે હું રાતીધોળી, કોઠીની છું રાણી,
ગરીબોનું હું ખાણું છું ને મારી થાયે ધાણી.
જુવાર કહે હું ગોળ દાણો, ને મારા માથે ટોપી,
મારો ફાલ ખરો લેવાને, કાળી ભોંયમાં રોપી.
જુવાર કહે છે કે હું સુખિયા નહિ, પણ દુઃખિયા, ગરીબ લોકોનું ખાણું ગણાઉં છું. જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાય છે. જુવાર ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા, ઢોકળાં બને છે. ગામડામાં ગરીબગુરબા જુવાનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી લ્યે છે. હુતાસણીના પર્વ પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી ઋતુમાં આ જ ધાણી કફ દૂર કરનારી છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતાં કહે છે કે, હે પ્રભુ, આછુંપાતળું જુવાર બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.
લોકકવિ ચોખાની ઓળખ આ રીતે આપે છેઃ
ચોખો કહે કે હું ધોળો દાણો, મારા માથે અણી,
મારી મજા લેવી હોય તો દાળ નાખજો ઘણી.
ભારતમાં ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને શાલિ કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની બારમાસી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે. સાઠી અર્થાત્ સાઠ દિવસે પાકતી કમોદ. ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતુંઃ
સાઠી ચાવલ ભેંસ દૂધ, ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (અશ્વ) ઈ સરગ નિસરણી ચાર.
આયુર્વેદની દષ્ટિએ ચોખા ઠંડા છે, તે ગરમીને મટાડનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, મીઠા, બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, મૂત્ર અને મળને કાઢનાર, કફ ઓછો કરી બુદ્ધિ વધારનાર ગણાય છે. ચોખાની પણ કહેવતો જુઓઃ (1) ચોખો ચંપાય ને દાળ દબાય. (2) ચોખા ભેગી ઇયળ બફાઈ જાય. (3) દેરાણી-જેઠાણીના ચોખા ભેગા ચડ્યા સાંભળ્યાં નથી. એ રીતે તુવેરરાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. ગુજરાતણોની રસોઈમાં આ રાણી રોજ હાજર હોય છે, હવે એની વાત સાંભળો ઃ
તુવેર કહે હું તાજો દાણો, રસોઈની છું રાણી,
મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી.
****
તુવેર કહે હું દાળ બનાવું, રસોઈનો રાખું રંગ,
જે ઘરમાં તુવેર ન હોય તેના જોઈ લ્યો ઢંગ.
તુવેરની દાળ બને, દાળઢોકળી બને. પૂરણપોળી બને. દરેક કઠોળના લોટના પાપડ બને, પણ તુવેર એવું કઠોળ છે કે એનો લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય. તુવેરદાણા-લીલવાનું સરસ શાક થાય. કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે, લૂખી અને ઠંડી છે. શરીરની કાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો દુઃખાવો અને હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ અને કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈને ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ વાટીને તેનું પાણી પાવામાં આવે છે.
એ રીતે શક્તિવર્ધક ચણા સાથે કેવી મજાની કહેવતો જોડાઈ છે?
ચણો કહે હું ખરબચડો, ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય, તે ઘોડા જેવો થાય.
****
ચણો કહે હું ખરબચડો ને મારા માથે અણી,
ભીની દાળ ને ગોળ ખાય તો બને મલ્લનો ધણી.
કઠોળમાં સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં, પાતરાં, બુંદી, લકડશી લાડુ, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના લોટમાં દૂધ કે મલાઈ કે હળદર મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઊઘડે છે, કાંતિ વધે છે. ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે જાનને મરિયા-બાફીને વઘારેલા ચણાનું શાક ને સુખડી આપવામાં આવતાં. આ ચણા શીતળ, વાયુ કરનાર, પિત્તહર, રક્તદોષ હરનાર, કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે. ચણા સાથે જોડાયેલી અન્ય કહેવતો ઃ
ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.
અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે, જો ખાય અડદ તો થાય મરદ. એનીયે કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે ઃ
અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું, જો મસાલો ભેળો.
****
અડદ કહે હું કાળો દાણો, માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો, તો શરીરમાં આવે કાંટો.
****
અડદ કહે હું કઠોર દાણો, ચીકાશ મુજબમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ, બળિયા સાથે બાઝો.
સૌરાષ્ટ્રમાં અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટીન વધારે હોવાથી તે બળવર્ધક બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બારમાસીની શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દર્દીને અડદનાં વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.
દિવાળીનું પરબ આવે ત્યારે બાઈયુંને મઠિયા યાદ આવે. ચણા બાજરાની જેમ મઠ માણસોય ખાય ને ઘોડાય ખાય, એટલે કહેવાય છે ઃ
મઠ કહે હું ઝીણો દાણો, મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે કે ઘોડું આવે થાક્યું.
મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે ઃ દાખલા તરીકે,
મઠને ખેતર માળો નંઈ,
ઉંદરને ઉચાળો નંઈ,
ઘેલીને ગવાળો નંઈ
ને કુંભારને સાળો નંઈ
મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ અને તાવ મટાડનાર મનાય છે. ચોળા એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છેઃ
મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે,
વા કરે ઢગ, સહેજ ઢાંક્યો ના રહે.
મગની જેમ ચોળા શુકનવંતું કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વર્ષે શુકનમાં ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કેઃ
લોક કરે ઢોકળાં, વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે, પાટણનું મહાજન મનાવવા જાય.
આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે પડે છે. એનું પણ કહેવત જોડકણુંઃ
બાળક કહે, મેં ખાધા ચોળા
મા કહે મારા બગાડ્યા ખોળા.
આપણે કઠોળ રોજ ખાઈએ છીએ, પણ એના વિશે ભાગ્યે જ કશું જાણીએ છીએ. આપણી કહેવતો કેવું મજાનું લોકશિક્ષણ આપે છે. આપણે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે ને!

લેખક સાહિત્યકાર અને લોકકલાવિદ છે.

કેરી અનેક રોગોનો ઇલાજ છે
ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગ્યું છે. સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટીનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમ જ મિનરલ્સથી ભરપૂર છે તેનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચનશક્તિમાં મદદ કરે છે. આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે. કેરીને ટુકડા કરીને ખાવાથી કે તેનો રસ પીવાથી અનેક પ્રકારના રોગો મટે છે.
કેરીની સીઝનમાં જો તેને નિયમિત ધોરણે ભોજનમાં ઉમેરવામાં આવે તો તેનાથી આંતરડાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે. તાજી કેરીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ હોય છે જે હ્યદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે અને બ્લડપ્રેશરને અંકુશમાં રાખે છે. કેરીમાં રહેલાં વિટામિન ઈથી શરીરમાં જોશ અને ચુસ્તી તેમ જ સ્ફૂર્તિ રહે છે. કેરીના ટુકડાને 10થી 15 મિનિટ ચહેરા પર ઘસવાથી અને પછી ચોખ્ખા પાણીથી સાફ કરવાથી ચહેરા પરથી ખીલને દૂર કરી શકાય છે. ચહેરાની સુંદરતા અને નરમાઈ વધે છે અને ચહેરો વધારે ચમકદાર બને છે.
કેરી હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે, આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે, એનેમિયા અને કોલેસ્ટરોલ સામે રક્ષણ મળે છે. કેરીમાં લોહતત્ત્વો ભરપૂર છે, આથી જે લોકોને એનિમિયા થયો હોય તેવા લોકો જો તેનો ભોજનમાં ઉપયોગ કરે તો તેનાથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચનશક્તિમાં વધારો થાય છે, જે મહિલાઓ 40-45 વર્ષની હોય અને મેનોપોઝમાંથી પસાર થઈ રહી હોય તેવી મહિલાઓ માટે કેરી ખાવાનું ગુણકારી છે. કેરીમાં રહેલાં ફાઇબર અને પેક્ટિન તેમ જ વિટામિન સીને કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી. દરરોજ રાત્રે આંબાનાં 10થી 15 જેટલાં પાંદડાંને સ્વચ્છ પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે તે પાણી ગાળીને નરણા કોઠે પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે અને અન્ય રોગો સામે રક્ષણ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here