સ્વચ્છતા – આપણી વ્યક્તિગત તેમ જ સામૂહિક જવાબદારી છે


ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે; જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે પરિસ્થિતિ છે તે જોતાં શરમથી માથું ઝૂકી જાય છે. એક સમય હતો કે જ્યારે આપણો દેશ સોને કી ચીડિયા કહેવાતો હતો, જ્યાં સંપૂર્ણ સ્વચ્છતા, શુદ્ધતા, પવિત્રતા તેમ જ દિવ્યતા હતી. આને કારણે તે સમયનો સમાજ સંપૂર્ણ સ્વસ્થ તેમ જ સમૃદ્ધ હતો, પરંતુ આજે આપણે આપણા દેશની પરિસ્થિતિ આનાથી કંઈક વિપરીત જોઈ રહ્યા છીએ.
અસ્વચ્છતા, ગંદકી, દુર્ગંધ આપણા દેશની એક મોટી સમસ્યા છે. આ માટે ગરીબી, વસતિવધારો, ઓછાં સંસાધનો અમુક અંશે જવાબદાર હશે, પરંતુ સૌથી મહત્ત્વનું પરિબળ તો લોકોની ગંદી આદતો, સ્વચ્છતા માટેની જાગરૂકતાનો અભાવ તેમ જ શિક્ષણનો અભાવ છે.
આજે પણ આપણા દેશમાં 40%થી પણ વધુ ઘરોમાં શૌચાલય નથી. 50%થી વધુ લોકો ખુલ્લામાં શોચક્રિયા કરે છે. આમાં કેટલાક તો વળી એવા પણ છે કે ઘરમાં શૌચાલય હોવા છતાં ખુલ્લામાં જવાનું પસંદ કરે છે. કચરો ગમે ત્યાં ગમે તેમ ફેંકવો; ગમે ત્યાં થૂંકવું; પાન-મસાલાનાં કે માવાનાં પાઉચ કે કાગળો ગમે ત્યાં ફેંકવાં; કેળાં ખાઈ તેની છાલ રોડ પર ગમે ત્યાં ફેંકવી; ખુલ્લામાં કોઈ જાતની શરમ રાખ્યા વગર પેશાબ કરવો વગેરે આપણા દેશની રોજબરોજની સામાન્ય બાબત છે. આવી પરિસ્થિતિમાં આપણે આપણા દેશને કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ?
આપણા દેશની સરકાર તેમ જ સરકારી તંત્ર પણ આના માટે અમુક અંશે જવાબદાર છે. ખાસ કરીને રાજકારણીઓ, અધિકારીઓ તેમ જ કર્મચારીઓની નિષ્ઠા તેમ જ પ્રામાણિકતાનો અભાવ તેમ જ તેમના દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર, સ્વચ્છતા જાળવવામાં વિઘ્નરૂપ બને છે.
વિશ્વના ખૂબ જ વિકસિત દેશોમાં આપણે જે સ્વચ્છતા જોઈએ છીએ તેમ જ અનુભવીએ છીએ તેની પાછળ ત્યાંની સરકારના નિષ્ઠાપૂર્વકના પ્રામાણિક પ્રયાસ તો કારણભૂત છે જ, પરંતુ ત્યાંની સ્વચ્છતાનું વધારે મહત્ત્વનું કારણ તો ત્યાંની પ્રજાની સ્વચ્છતા માટેની જાગરૂકતા તેમ જ તેમની સારી આદતો છે. તે દેશોના નાગરિકોમાં એટલી સભાનતા છે કે તેઓને તમે ક્યારેય ગમે ત્યાં કચરો ફેંકતાં, ગંદકી કરતાં કે થૂંકતાં જોઈ જ ન શકો. આવા વિકસિત દેશોમાં આપણા દેશ કરતાં વ્યક્તિદીઠ નિકાલ કરવા યોગ્ય કચરાનું પ્રમાણ પણ વધારે છે. છતાં પણ લોકો એટલા જાગૃત છે કે તેઓ કચરાના નિકાલ માટે ઘરમાં કે બહાર કચરાપેટીનો જ ઉપયોગ કરે છે. કદાચ કોઈ સ્થાને કચરાપેટી ઉપલબ્ધ ન હોય તો પ્લાસ્ટિક બેગમાં કે અન્ય રીતે કચરાને તેઓ પોતાની પાસે જ સાચવી રાખે છે અને જ્યારે કચરાપેટી મળે ત્યારે જ તેનો તેમાં નિકાલ કરે છે. એક કાગળના ટુકડાને પણ ગમે ત્યાં ફેંકવાની કોઈ હિંમ્મત ન કરી શકે. ઘરનો કચરો તેમ જ કિચન વેસ્ટ પણ પ્લાસ્ટિક બેગમાં પેક કરીને રાખે છે અને કચરો લેવા વાહન આવે ત્યારે તેને આપી દેવામાં આવે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણી સરકારો પણ સ્વચ્છતા માટે જાગૃત થઈ છે. છેલ્લાં દસ વર્ષ જે યુપીએ સરકારે રાજ કર્યું તે દરમિયાન તેને પણ નિર્મલ ભારત અભિયાન શરૂ કરેલું તેની થોડીઘણી અસર પણ જણાયેલી, પરંતુ લોકજાગૃતિ તેમ જ લોકભાગીદારીના અભાવના કારણે ઇચ્છિત પરિણામો મેળવી શકાયાં નહિ. વર્તમાન એનડીએની સરકાર થોડી વધુ દઢતાથી, વધુ સ્પષ્ટ વિઝન સાથે, સચોટ એક્શન પ્લાન સાથે આગળ આવી છે અને નવેસરથી તેણે સ્વચ્છ ભારત અભિયાન યોજના લોન્ચ કરી છે. આ યોજનામાં લોકોને જોડવા તેમ જ ભાગીદાર બનાવવા સરકાર પૂરા પ્રયાસ કરી રહી છે. લોકોને શિક્ષિત કરી, જાગૃત કરવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. વડા પ્રધાનનું લક્ષ્ય પણ છે કે સન 2019માં ગાંધીજીના 150મા જન્મદિવસ સુધીમાં દેશને સ્વચ્છ ભારતની ભેટ ધરવી. લોકો તેને બિરદાવી પણ રહ્યા છે, પરંતુ દેશની આમ જનતા આ વાતને સ્વીકારે અને સહયોગ કરે તો જ તે સફળ બની શકે. જો આગામી વર્ષોમાં આપણા સૌના નિષ્ઠાપૂર્વકના સામૂહિક પ્રયાસથી આ લક્ષ્ય સિદ્ધ થાય તો રાષ્ટ્રપિતા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. ગાંધીજીને ફરીથી જીવતા કરવાની આ સુંદર તક દેશવાસીઓને સાંપડી છે, જેને દિલથી ઉપાડી લેવી જોઈએ અને જનઆંદોલનના સ્વરૂપે તેમાં સૌ કોઈએ જોડાઈ જવું જોઈએ. ગાંધીજીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે સ્વચ્છતા કે સ્વતંત્રતા આ બેમાંથી તમારી પ્રથમ પસંદગી કે પ્રાથમિકતા કઈ છે? આપ સૌ ગાંધીજીએ આપેલા ઉત્તરને જાણો છો. તેમની પ્રાથમિકતા હંમેશાં સ્વચ્છતા રહી છે. તેઓ દઢપણે માનતા હતા કે સ્વચ્છતા હશે તો જ મળેલી સ્વતંત્રતાને માણી શકાશે. દેશની ઘણી બધી બિનસરકારી સેવાભાવી સંસ્થાઓ દ્વારા, મિડિયા દ્વારા, સમાજની વિશેષ વ્યક્તિઓ દ્વારા પણ આ અભિયાન અંતર્ગત નિષ્ઠાપૂર્વકના પ્રયાસ થઈ રહ્યા છે. લોકોમાં પણ થોડીઘણી સભાનતા કેળવાઈ રહી છે, પરંતુ હજી પણ વધુ પ્રયાસની જરૂરત છે. આવી સંસ્થાઓમાંની એક સંસ્થા છે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય, જે એક બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તે પણ એક સ્વચ્છ, નૂતન, સ્વર્ણિમ દુનિયાની સ્થાપનાના લક્ષ્ય સાથે આ અભિયાનમાં તેની વિવિધ પાંખો દ્વારા મહત્ત્વનો સહયોગ આપી રહી છે. સંસ્થા સમાજની નાનામાં નાની વ્યક્તિનો સંપર્ક કરી તેને સ્વચ્છતા અંગે નીચે પ્રમાણે નિશ્ચય કરવા પ્રતિબદ્ધ કરી રહી છે.
હું હૃદયપૂર્વક દઢ નિશ્ચય કરું છું કે… સ્વચ્છ ભારત અભિયાનમાં હું દિલથી સહભાગી બનીશ. મારું ઘર, આંગણું, શેરી અને ગામને સ્વચ્છ અને સુઘડ રાખીશ. હું પોતે ગંદકી કરીશ નહિ કે અન્યને પણ ગંદકી કરવા દઈશ નહિ. જ્યાં પણ કચરો કે ગંદકી નજરે પડશે, તેને દૂર કરવા પ્રયત્ન કરીશ. મારી સાથે મારા પરિવાર, મિત્રો તથા અન્ય સભ્યોને આ અભિયાનમાં જોડાવાની પ્રેરણા આપીશ. વર્ષના 100 કલાક એટલે સપ્તાહના ઓછામાં ઓછા બે કલાક સ્વચ્છતા માટે અચૂક ફાળવીશ. જ્યાં સ્વચ્છતા છે, ત્યાં ઈશ્વરનો વાસ છે, એ યાદ રાખીને સાચા દિલથી સ્વચ્છ ભારત અભિયાનમાં સ્વયં સક્રિય રહેવાની અને અન્યને પણ પ્રેરિત કરવાની ખાતરી આપું છું. સ્વચ્છતા માટે શરૂ કરાયેલા કોઈ પણ કાર્યક્રમોમાં સહયોગી બની તેને સફળ બનાવવાનો પ્રયત્ન કરીશ. સ્વચ્છતાને મારી જીવનશૈલીનો એક ભાગ બનાવી મારા દેશને પુનઃ સ્વર્ણિમ ભારત બનાવવા પ્રયત્નશીલ રહીશ. તેના માટે વિચારો તથા કર્મોની શુદ્ધતા પર પણ ધ્યાન આપીશ.
આ સાથે સંસ્થા સ્પષ્ટપણે માને છે કે વિશ્વની આજની પરિસ્થિતિમાં જેટલી બાહ્ય સ્વચ્છતાની જરૂરત છે તેટલી જ કે તેથી વધુ વ્યક્તિની આંતરિક સ્વચ્છતાને સુધારવાની જરૂરત છે. મહદ્ અંશે આજે વ્યક્તિ વધુ ને વધુ કામી, ક્રોધી, અહંકારી, લોભી, સ્વાર્થી, અસહિષ્ણુ, હિંસક, ઈર્ષાળુ થતી જાય છે. સમાજમાં પ્રેમ, પ્રામાણિકતા, નિષ્ઠા, સત્યતા, દયા, કરુણા જેવાં માનવીય મૂલ્યો ઘટતાં જઈ રહ્યાં છે. આવા સમયે વ્યક્તિમાં આંતરિક પરિવર્તન દ્વારા આંતરિક સ્વચ્છતાને પ્રસ્થાપિત કરવી અત્યંક આવશ્યક છે. સંસ્થા આ દિશામાં પણ ખૂબજ પ્રયત્નશીલ છે. આધ્યાત્મિક જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન રાજયોગના શિક્ષણ દ્વારા બાહ્ય તેમ જ આંતરિક બન્ને પ્રકારની સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે કટિબદ્ધ છે. સંસ્થાનાં મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી જાનકીજીને ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનનાં બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યાં છે. સંસ્થા દઢપણે માને છે કે તન મન રહે સાફ તો પ્રભુ રહે સાથ.

લેખક સામાજિક કાર્યકર અને કેળવણીકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here