નવી દિલ્હીઃ સરકારે ગ્રાહકો માટે નવા વર્ષની અનમોલ ભેટ આપવાની જાહેરાત કરી છે. ઐતિહાસિક નિર્ણયમાં સરકારે તમામને મફત અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી દેશના ૮૧.૩૫ કરોડ લોકોને સીધો લાભ મળશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત રાશન પ્રણાલીમાં સસ્તા દરે ગ્રાહકોને ફાળવવામાં આવતા અનાજ માટે હવે કાર્ડધારકોને કોઇ ચૂકવણી કરવી નહીં પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાંં થયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ સુવિધા ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી આપવામાં આવશે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ. ૨ લાખ કરોડનું ભારણ પડશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત દેશની બે તૃતિયાંશ ઍટલે કે રૂ. ૮૧.૩૫ કરોડ લોકોને અત્યંત રાહત દરે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ અંતર્ગત રાશન કાર્ડધારકોને રાહત દરે રાશન દુકાનેથી જ્યાં રૂ. ૩ પ્રતિ કિલોના દરે અનાજ આપવામાં આવે છે. તેમાં દરેક સામાન્ય ગ્રાહકોને દર મહિને પાંચ કિલોના દરેક અનાજ વહેંચવામાં આવે છે જ્યારે કે અંત્યોદય વર્ગના ગ્રાહકોને અનાજની આ માત્રા રૂ. ૭ કિલો વ્યક્તિ દીઠ હોય છે. ઍટલે કે દરેક સામાન્ય પરિવારને ૨૫ કિલો અને અંત્યોદય વર્ગના પરિવારને ૩૫ કિલો અનાજ આપવામાં આવે છે.