અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે શહેરો-નગરોના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકારે બે વર્ષમાં ૨૦૦ ટી.પી. સ્કીમ મંજૂર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે ચાલુ વર્ષે જ ૧૦૦ ટી.પી. સ્કીમને મંજૂરી આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં મંજૂર કરવામાં આવેલી ૨૦૦ ટી.પી. અને ૧૨ ડી.પી. સ્કીમ સંપૂર્ણ પારદર્શિકતાથી અમલમાં મુકાઈ છે, જેને કારણે અમદાવાદ અને સુરત જેવાં શહેરો વિશ્વમાં ઝડપથી વિકસી રહેલાં શહેરો તરીકે ઊભરી આવ્યાં છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ત્રિદિવસીય ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરાવતાં તેમણે કહ્યું હતું કે શહેરી ક્ષેત્રના વિકાસ માટે ટી.પી. સ્કીમની મંજૂરી સહિતનાં જે પગલાં લેવામાં આવ્યાં છે એનાથી ગુજરાતની કન્સ્ટ્રક્શન એક્ટિવિટીને બુસ્ટ મળશે.
તેમણે કહ્યું હતું કે ગુજરાત આજે સમગ્ર દેશમાં ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. અન્ય રાજ્યોનાં વહીવટી તંત્રો અને લોકો ગુજરાતની વિકાસગાથા અને સિસ્ટમને સમજવા માટે ગુજરાત આવી રહ્યા છે એ ગુજરાતની પ્રગતિની પારાશીશી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વિકાસની ૨૦-૨૦ જેવી ઝડપથી ગુજરાતને આજે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગની વિશેષ ચિંતા કરીને લો કોસ્ટ હાઉસિંગની વ્યવસ્થા અને એના માટેની પોલિસી અમલી બનાવી, જ્યાં પણ ઝૂંપડપટ્ટીઓ છે ત્યાં નવાં મકાનો અને ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળે એ માટે વિવિધ યોજનાઓ હેઠળ અનેક મકાનો બનાવી સંપૂર્ણ પારદર્શકતાથી હાથોહાથ ઘરની ચાવી લાભાર્થીઓને આપી છે.
વિકાસની ગતિને તેજ બનાવવા માટે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં ડિજિટાઇઝેશન અને અરજી તથા મંજૂરીઓ ઓનલાઇન આપવાની વ્યવસ્થા વિકસિત કરવામાં આવી રહી છે, જેથી લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે અને લાઇનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે, સાથે જ પારદર્શિતા આવે એવી નેમ તેમણે દર્શાવી હતી.
તેમણે કહ્યું હતું કે આપણે ત્યાં બાંધકામક્ષેત્રમાં રોજગારીની વ્યાપક તકો રહેલી છે. આ રોજગારીને પરિણામે અર્થતંત્રને પણ ગતિ મળશે, જેનાથી ગુજરાતની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.
ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનું આયોજન કરવા બદલ ગાહેડ-ક્રેડાઇને અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૪૫ ટકાથી વધુ વસતિ શહેરી ક્ષેત્રમાં વસવાટ કરે છે અને ૫૫ ટકા વસતિ ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરે છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, દુનિયામાં સૌથી ૧૦ ફાસ્ટ ગ્રોઇંગ સિટીમાં ગુજરાતનાં બે શહેરોનો સમાવેશ થયો છે. એ જ દર્શાવે છે કે ગુજરાતમાં શહેરો ખૂબ ઝડપીથી વિકસી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે જે પ્રમાણે શહેરોનો વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે એમાં વસવાટ કરતા નગરજનોને પણ પ્રાથમિક સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ બને એ માટે રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ આવનારાં ૨૫ વર્ષને ધ્યાનમાં રાખીને આયોજન કરે છે અને એ પ્રમાણે યોજનાઓ કાર્યાન્વિત કરે છે. અમારી સરકાર પ્રજાની સરકાર છે. લોકોને પોતાની સરકાર હોય એવી લાગણી જન્મે એ માટે લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ મુજબ ત્વરિત અને ઝડપી નિર્ણયો પારદર્શકતાથી લઈ રહ્યા છીએ.
ઝડપથી વિકસતાં ક્ષેત્રો સાથે કદમ મિલાવવા માટે આજે ઝડપી નિર્ણયો લેવાય એ જરૂરી છે, એની સાથે સાથે નિર્ણાયકતા સાથે સમયની માગ મુજબ નિર્ણયો લેવાય તો જ ઝડપી વિકાસની ગતિ સાથે ગુજરાત કદમ મિલાવી શકે. ગુજરાતે દેશભરમાં માળખાકીય ક્ષેત્રના વિકાસથી અમૂલ પરિવર્તન સાથે દેશને દિશા ચીંધનારો વિકાસ કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જે વિકાસની રેખા અંકિત કરી હતી એને વધુ ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નરેન્દ્રભાઈ મોદીએ નયા ભારતની જે સંકલ્પના વ્યક્ત કરી છે એમાં ગુજરાત અગ્રેસર રહેશે.
આ પ્રસંગે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં સતત પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ઇન્ડ્રસ્ટ્રીનો વ્યાપ પણ વધી રહ્યો છે અને રોજગારીની વિપુલ માત્રમાં તકો ઊભી થઈ રહી છે. ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનું આયોજન કરવા બદલ તમામ હોદ્દેદારોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.
આ પ્રસંગે મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ત્રણ વર્ષમાં ૧૪૦૦ વધુ પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનાથી ગુજરાતની પ્રજાને ઘણો ફાયદો થયો છે. મહેસૂલ વિભાગે ટેક્નોલોજીના ઉપયોગ પર સૌથી વધુ ભાર મૂક્યો છે. અત્યારે ઓફલાઇન સિસ્ટમમાંથી ઓનલાઇન સિસ્ટમ તરફની દિશામાં આગળ વધી રહ્યા છે. સતત પ્રજાલક્ષી નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે.
આ ફ્લેગશિપ કાર્યક્રમમાં ૬૫થી વધુ ડેવલપર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકાર લઈ રહેલા ૧૫૦થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે.
ક્રેડાઇ નેશનલના ચેરમેન જક્ષય શાહે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા નીતિવિષયક સુધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજનથી સમગ્ર રાજ્યમાં સુનિયોજિત વિકાસની બહારથી રોકાણકારોનો પ્રવાહ વધશે અને વ્યાવસાયિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રનો વ્યાપ પણ વધવાને પરિણામે શહેરમાં માયગ્રેશનને લીધે વધારાના આવાસોની માગ ઊભી થશે તેમજ અમદાવાદના નવા વિકાસ પામી રહેલા વિસ્તારોમાં રોકાણકારોનો પ્રવાહ વધશે, જેથી મિલકત ખરીદવા માટેની આ ઉત્તમ તક છે.
આ પ્રસંગે અમદાવાદનાં મેયર બીજલબેન પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલભાઈ ભટ્ટ, ક્રેડાઇ નેશનલના વાઇસ-પ્રેસિડન્ટ શેખર પટેલ, ક્રેડાઇ ગુજરાતના પ્રેસિડન્ટ આશિષ પટેલ સહિતનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here