પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવનો હોદો્ આપીને આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમનું સક્રિય રાજકારણમાં આગમન કોંગ્રેસ માટે ફાયદાકારક બનશે . પ્રિયંકાના આગમનથી કોંગ્રેસના તમામ કાર્યકરોમાં નવો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. લખનઉમાં પ્રિયંકાને દુર્ગાના અવતાર તરીકે દર્શાવતા પોસ્ટરો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના યુવા કાર્યકરોમાં આનંદનો માહોલ છે.પ્રિયંકાના આગમનને વધાવતા પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે- ઈન્ડિયા ઈઝ બેક. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. આ પોસ્ટર ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આતશબાજી પણ કરવામાં આવી હતી.કોંગ્રેસના નેતા રાહુલ અવસ્થી અને કે ડી દીક્ષિત દ્વારા આ પોસ્ટરો છપાવવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીના નિર્ણયની પ્રશંસા કરી હતી. હવે ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં મતોનું ગણિત બદલાશે. પ્રિયંકાના આગમનથી કોંગ્રેસ વધુ મજબૂત બની છે. લોકસભાની ચૂંટણી યોજાવાને આડે 100થીય ઓછા દિવસો રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષે લીધેલું આ પગલું કોંગ્રેસની સ્થિતિ તો મજબૂત કરશે પણ સાથે સાથે ભાજપ સહિતના રાજકીય પક્ષોને માટે પડકારરૂપ પણ બની રહેવાની સંભાવના બળવત્તર બની છે.