ગોંડલઃ ગોંડલની જગવિખ્યાત સંસ્થા શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિર અને એનો ૧૧૪ વર્ષનો ઝળહળતો ઇતિહાસ સૌકોઈ જાણે છે. એના આદ્યસ્થાપક રાજવૈદ્ય આચાર્યશ્રી ચરણતીર્થજી મહારાજ આયુર્વેદ, ધર્મ અને ભારત વર્ષના ઇતિહાસમાં ગાંધીજીને મહાત્માનું બિરુદ આપી ગોંડલને ગૌરવ આપ્યું હતું. ત્યાર બાદ તેમના પુત્ર ગોપાલરત્ન આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજે આ પરંપરા આગળ વધારી. આયુર્વેદ, ધર્મ, ગૌસેવર્ધન, અશ્વસેવર્ધન, વગેરે અનેક પ્રવૃત્તિઓથી ગોંડલને સમગ્ર વિશ્વના નકશા પર પ્રચલિત કર્યું.
૧૯૯૭માં હોમિયોપેથિક મેડિકલ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી સમગ્ર સંસ્થાની જવાબદારી તેમના પુત્ર ડો. રવિદર્શનજીએ સંભાળી. નાનપણથી જ કલાપ્રેમી હોવાથી તેઓ ચિત્રકલામાં રુચિ ધરાવતા. પોતાની જાતમહેનતથી તેમણે ચિત્રકલાને આગળ વધારી. ભારત વર્ષના ખ્યાતમાન ચિત્રકાર રાજા રવિ વર્માને પોતાના ગુરુ તરીકે સ્વીકારી તેમની શૈલીને અપનાવી.
મા ભુવનેશ્વરીના પરમ ઉપાસક એવા શ્રી ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ ડો. રવિદર્શનજીએ જાણે માએ પ્રેરણા કરી હોઈ એમ ૨૦૧૫માં રાજા રવિ વર્માની શૈલીમાં સુંદર ચિત્રો બનાવવાનો નિશ્ચય કર્યો. પાંચ વર્ષમાં તેમણે ૧૫ જેટલાં ચિત્રો બનાવ્યાં અને ગોંડલ ખાતે પોતાની પ્રાઇવેટ આર્ટ ગેલેરી સ્થાપી.
આ ચિત્રો જાણે રંગોનો ઉત્સવ હોઈ એવાં સુંદર છે. બારીક કારઠ કારીગીરી ધરાવતી ફ્રેમો, તેમની યાત્રા દ્વારા પ્રેરિત સુંદર સ્થળો, પેલેસો અને ભવ્ય રજવાડી પોશાકો, અલંકારો અને અંગત સંગ્રહાલયમાંથી પ્રેરિત કલાકૃતિઓથી દરેક પેઇન્ટિંગને સજાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિખ્યાત સંગ્રહાલયો, બહુમૂલી વસ્તુઓને પણ ચિત્રોમાં સામેલ કરી છે. તેમના જીવનના સિદ્ધાંતોને પણ ચિત્રોમાં આવરી લેવામાં આવ્યા છે.
પોતે કહે છે કે આ મારી રંગો અને ચિત્રો દ્વારા રચેલી આત્મકથા છે. ૧૪, ૧૫, અને ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ના દિવસોએ વડોદરા ખાતે આ સમગ્ર ચિત્રો જાહેર જનતા માટે પ્રદર્શિત કરાયાં. કીર્તિ મંદિરના મુખ્ય હોલમાં ગાયકવાડ નામદાર રાજમાતા શ્રી શુભાંગિની રાજે, નામદાર મહારાજા સમરજિતસિંહજી તથા વડોદરા રાજ પરિવારના વરદ્હસ્તે આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું. આ ઉદ્ઘાટન સમારોહમાં અન્ય રાજ પરિવારો, નામાંકિત ચિત્રકારો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે