ચીલીઃ મધ્ય અને દક્ષિણ ચિલીના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને ૯૯ થઈ ગયો છે જેમાંથી હાલ ૩૨ મૃતકોની ઓળખ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. આગ પર કાબુ મેળવવામાં માટે ૧૯ હેલિકોપ્ટર અને ૪૫૦થી ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧,૬૦૦ ઘરો બળીને ખાખ થયા છે. આ ઉપરાંત હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના પ્રવાસી શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૃહમંત્રી કેરોલિના તોહા એ કહ્યું કે વાલપરાઈસોમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે દેશ ૨૦૧૦ના ભૂકંપ પછીની સૌથી ખરાબ આફતનો સામનો કરી રહ્યો છે. વાલપરાઈસો વિસ્તારમાં ત્રણ આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે કહ્યું કે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે.
ચિલીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ નવી વાત નથી, પરંતુ આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થાય છે. અહીં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે અને આ જ કારણ છે કે સંકટ વધારે વધી ગયું છે. આગ મુખ્યત્વે દરિયાકાંઠે આવેલા વાલપરાઈસો પ્રવાસી વિસ્તારની આસપાસ ફાટી નીકળી હતી, જ્યાં હજારો હેક્ટર જંગલનો નાશ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આગ ફેલાઈ રહી છે, જેના કારણે સંકટ વધી રહ્યું છે.
ભયાનક આગને કારણે ચિલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. લગભગ ૧ મિલિયનની વસ્તી ધરાવતા મધ્ય ચિલીના વાલપરાઇસો પ્રદેશના ઘણા ભાગોને કાળા ધુમાડાએ ઢાંકી દીધા હતા. દરિયાકાંઠાના શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ગૃહ પ્રધાન કેરોલિના તોહાએ કહ્યું કે વાલપરાઈસોમાં સ્થિતિ સૌથી ગંભીર છે. રસ્તાઓ પર લોકોના મૃતદેહો પણ જોવા મળી રહ્યા છે.
૨૦૧૦ના ભૂકંપ બાદ ચિલીમાં આ સૌથી મોટી દુર્ઘટના છે. ભૂકંપના કારણે લગભગ ૫૦૦ લોકો માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. હાલ આગ ૪૩ હજાર હેક્ટરમાં ફેલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ભીષણ આગે શહેરના પહાડી વિસ્તાર વિલા ઈન્ડિપેન્ડેનિયાને પણ લપેટમાં લીધું છે. સળગી ગયેલી કાર રસ્તા પર જોવા મળે છે. મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં ૯૨ જંગલોમાં આગ છે.