અયોધ્યાઃ શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. રામલલાના દર્શન માટે અયોધ્યામાં હાલમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હજુ માત્ર છ દિવસો જ થયા છે, ત્યારે તેટલામાં 18.75 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આયોધ્યામાં રામલલાના દર્શન કરી ભવ્ય રામ મંદિરમાં પૂજા -અર્ચના કરી છે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શનમાં હેઠળ વ્યવસ્થાપનને લઈને એક સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિનું મુખ્ય કામ એ હતું કે, ભક્તો રામલલાના સારી રીતે દર્શન કરી શકે. ગત 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીએ ભક્તો માટે મંદિરના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. જેમા દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો રામલલાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રોજ આશરે 2 લાખથી વધુ ભક્તો રામલલાના દર્શન અને પ્રાર્થના કરવા મંદિરમાં આવી રહ્યા છે. ભક્તો અયોધ્યામાં દરરોજ ‘જય શ્રી રામ’ નો ઉદ્ધોષ લગાવી રહ્યા હતા