રશિયાએ ભારતના વિદેશ મંત્રીના નિવેદન પર સહમતિ દર્શાવી છે. રશિયા ભારતનું પરંપરાગત મિત્ર છે. બદલાતી વૈશ્વિક કૂટનીતિમાં પણ રશિયા અને ભારતની મિત્રતા મજબૂત છે. ભલે રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકા રશિયાનું દુશ્મન બની ગયું હોય કે પછી ચીન અને ઉત્તર કોરિયા આડકતરી રીતે રશિયાને સમર્થન આપતા હોય કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં. આવી સ્થિતિમાં બદલાતી વૈશ્વિક કૂટનીતિમાં ભલે છાવણીઓ રચાઈ રહી હોય, પરંતુ તેનાથી ભારત અને રશિયાની મિત્રતામાં કોઈ ફરક નથી પડી રહ્યો. તેનું ઉદાહરણ રશિયાના વિદેશ મંત્રીના તાજેતરના નિવેદન પરથી જોઈ શકાય છે. તેઓ તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકરના એ નિવેદનને સમર્થન આપ્યું છે જેમાં જયશંકરે બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. જયશંકરે આડકતરી રીતે કહ્યું હતું કે વિશ્વ યુરોપની સંપત્તિ નથી.
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે ‘દુનિયા માત્ર યુરોપ જ નહીં, પરંતુ આનાથી પણ ઘણું વધારે છે.’ લવરોવે કહ્યું કે વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ ઈસ્ટ ઉભરી રહ્યા છે. મોસ્કોમાં પ્રિમકોવ રીડિંગ્સ ઇન્ટરનેશનલ ફોરમમાં બોલતા, રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ‘આજે વિશ્વમાં પરિવર્તન આવી રહ્યું છે. અગાઉ, માત્ર થોડા જ દેશોને વૈશ્વિક મહત્વ મળતું હતું અને તે ખાસ કરીને પશ્ચિમી દેશો હતા, તેનું એક કારણ હતું. લવરોવે કહ્યું કે ‘આજે વૈશ્વિક મંચ પર નવા ખેલાડીઓ ઉભરી રહ્યા છે અને ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ ઈસ્ટ તેમની વચ્ચે અગ્રણી છે. તેમની સંખ્યા પણ વધી રહી છે.
રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ‘આ ખરેખર વૈશ્વિક બહુમતી છે. હવે દેશો તેમના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપે છે, અન્ય કોઈ દેશના હિતોને નહીં. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. તે જ સમયે, પશ્ચિમી દેશો યુક્રેનને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. આ જ કારણ છે કે રશિયાના વિદેશ મંત્રી પશ્ચિમી દેશો પર નિશાન સાધતા રહે છે.