આ શુક્રવારે ભારતભરમાં પ્રદર્શિત કરાયેલી અનુષ્કા શર્મા અભિનિત હિન્દી ફિલ્મ પરી પાકિસ્તાનમાં રજૂ નહિ કરવામાં આવે. પાક સેન્સબોર્ડના સભ્યોએ આ ફિલ્મ સામે વાંધો ઊઠાવ્યો છે. પરી ફિલ્મનો સ્ક્રીન પ્લે- પટકથા અને સંવાદો ઈસ્લામની પરંપરા અને માન્યતાઓની વિરુધ્ધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાન ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન એસોસિયેશનના ચેરમેન ચૌધરીના જણાવ્યા મુજબ,જે ફિલ્મમાં અમારા મૂલ્યો અને અમારી સંસ્કૃતિ તેમ જ ઈતિહાસની વિરુધ્ધ હોય, અમારા સંસ્કારને ખોઠી રીતે રજૂ કરાતા હોય એવી ફિલ્મ પર પ્રતિબંધ મૂકાવો જ જોઈએ.
પાકિસતાનના મિડિયાએ સેન્સરબોર્ડના સૂત્રોનો હવાલો આપતાં કહ્યું હતું કે, ઉપરોક્ત પરી ફિલ્મમાં કુરાનની આયતોને હિંદુ મંત્રો સાથે મેળવીને રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં બ્લેક મેઝિક- કાળા જાદુના ઉપયોગ માટે કુરાનની આયતોનો ઉપયોગ કરતા મુસ્લિમોને દર્શાવવામાં આવ્યા છે.
પોતાની જીવન- સંગિની અનુષ્કા શર્માની પરી ફિલ્મ જોઈને ભારતની ક્રિકેટ ટીમના કપ્તાન અને ઉત્કૃષ્ટ ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ ફિલ્મમાં મારી પત્નીનો અભિનય અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય છે. મેં જોયેલી અનુષ્કાની ઉત્કૃષ્ટ અભિનયવાળી ફિલ્મોમાં આ પરી ફિલ્મનો સમાવેશ થાય છે. અનુષ્કા , હું તારા માટે ગૌરવ અનુભવું છું. પરીનું દિગ્દર્શન પ્રોસિત રોયે કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ કલીન સ્લેટ ફિલ્મસ દ્વારા કરવામાં આવ્યું છે.