આદર્શ અને વાસ્તવિક્તા

તમે વીસ વર્ષના થાઓ અને કોઈ આદર્શ ન સેવો તો સમજવું કે તમારે હૃદય નથી; તમે ત્રીસ વર્ષના થાઓ અને છતાં આદર્શો સેવવાનું ચાલુ રાખો તો સમજવું કે તમારે મગજ નથી.’
ઉપરનું વાક્ય મારું હોય એવું લાગે છે, પણ મારું નથી. મેં ક્યાંકથી ઉઠાવ્યું છે. ક્યાંથી ઉઠાવ્યું છે તે અત્યારે યાદ નથી આવતું, પણ વાક્યમાં મહાન સત્ય ઉચ્ચારાયું છે તે નક્કી.
ભાગ્યે જ એવાં કોઈ યુવક-યુવતી હશે, જેમણે વીસની ઉંમરની આસપાસ આદર્શોના મહેલ નહિ બાંધ્યા હોય! આદર્શોના મહેલ બાંધવા માટે ટેન્ડરો બહાર પાડવાની કે કોન્ટ્રેક્ટ આપવાની જરૂર પડતી નથી. યુવતીઓ માટે તો આપણા દેશમાં એક જ આદર્શ નક્કી કરવામાં આવ્યો છેઃ આદર્શ પત્ની બનવાનો – આદર્શ માતા બનવાનો! પતિ સાવ ઉધાર હોય, સનમાઇકા (માવડિયો) હોય તોય એની સેવા કરવી એ પત્નીનો ધર્મ ગણાય. આ આદર્શ સેવવામાં હિન્દી ફિલ્મોએ ઘણી મદદ કરી છે. પરિસ્થિતિ જોકે બદલાતી જાય છે. આ એકવીસમી સદીનો અંત પાસે હશે ત્યારે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ હશે. એ વખતે – એટલે કે ઈ. સ. 2098માં હું નવેસરથી આ લેખ લખીશ. જોકે એ વખતે હું નવેસરથી જન્મી ચૂક્યો હોઈશ, પણ આવતા જન્મમાં પણ હું હાસ્યલેખક જ થવાનો છું એટલે આ લેખ નવેસરથી લખીશ જ એવી મને શ્રદ્ધા છે. અલબત્ત, મારો એ અદ્ભુત લેખ વાંચવા માટે મોટી ઉંમરના વાચકોએ ફરી ગુજરાતમાં જન્મવું પડશે અથવા ગુજરાતી શીખવું પડશે.
વીસની ઉંમરે ઘટમાં ઘોડા થનગને છે, કેટલાકના ઘટમાં તો તોફાની ઘોડા થનગને છે. આતમ પાંખો વીંખે છે. ‘મને શું થવું ગમે?’ એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાય છે. પહેલાંના વિદ્યાર્થીઓને શિક્ષક થવું ગમતું. હવે શિક્ષક થવા માટે ઢગલાબંધ રૂપિયા આપવા પડે છે એટલે શિક્ષક થવાના વિચારો યુવાનોને બહુ આવતા નથી, પણ નેતા બનીને, ડોક્ટર બનીને માનવજાતની ઉમદા સેવા કરવાના કસુંબલ સપનાં હૃદયમાં ઘૂંટાય છે. આમ બનવું તદ્દન સ્વાભાવિક છે, કારણ કે ભગવાને હૃદય બધાને આપ્યું છે અને આ ઉંમરે હૃદયનું મુખ્ય કામ બ્લડ સરક્યુલેશન મેઇનટેઇન કરવાનું ને સપનાંઓનું પ્રોડક્શન કરવાનું હોય છે. કેટલાકનાં હૃદય તો આ ઉંમરે ત્રણેય શિફ્ટમાં સપનાંઓનું પ્રોડક્શન કરે છે.
ભગવાન દરેકને હૃદય આપે છે, પણ મગજનો – મગજની અંદરના મસાલાનો પુરવઠો ભગવાન પાસે મૂળથી જ ઓછો હોય એમ લાગે છે. હજાર હાથે હૃદય આપવાવાળા ભગવાનનો જીવ મગજ આપવાની બાબતમાં એટલો ઉદાર નથી લાગતો. ભગવાન મગજવાળાઓનું લિસ્ટ ઘણું નાનું બનાવે છે. (જે લિસ્ટમાં આપણો સમાવેશ ન થયો હોઈ એ લિસ્ટ આપણને નાનું જ લાગે!) જેવું, જેવડું, જેટલું મગજ મળ્યું હોય એ સ્વીકાર્યે જ છૂટકો; તેમ છતાં, ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ હૃદયની સત્તા ઘટતી જાય છે ને મગજની સત્તા વધતી જાય છે. વીસ વર્ષની ઉંમરે સેવેલા આદર્શો ખરતા જાય છે. તમારી ઉંમર વધે ને તોય આદર્શો ન છૂટે તો સમજવું કે તમારા માથામાં મગજ ફિટ કરવાનું બાકી રહી ગયું છે!
મારી સાથે કોલેજમાં ભણતો એક મિત્ર બહુ જ આદર્શવાદી હતો. એ જમાનામાં ફક્ત સારા માણસો જ ખાદી પહેરતા. એ ખાદી પહેરતો. ચા પણ નહોતો પીતો. અઠવાડિયે એક દિવસ ઉપવાસ કરતો, મૌન પાળતો, ગાંધીજીનાં પુસ્તકો વાંચ્યાં કરતો. ગાંધીજીનાં અગિયારેય વ્રતો ગાંધીજી બોલી શકતા હશે એના કરતાંય વધારે કડકડાટ રીતે બોલી જતો અને આ અગિયારેય વ્રતો પોતે જીવનભર પાળશે એવું કહ્યા કરતો. પછી અમે છૂટા પડ્યા. વર્ષો સુધી અમારે મળવાનું બન્યું નહિ. ઓ’ હેન્રીની એક વાર્તામાં બે મિત્રો બરાબર વીસ વર્ષ પછી અમુક દિવસે, અમુક સમયે, અમુક સ્થળે મળવાનું નક્કી કરી છૂટા પડે છે એવું અમે કંઈ નક્કી નહોતું કર્યું તોય અમે મળી ગયા. ‘મને શિક્ષક થવું ગમે.’ એવું મેં નિબંધમાં ક્યારેય લખ્યું નહોતું તોય હું શિક્ષક થયો. ગાંધીજીનાં અગિયાર વ્રતો તો નહિ, પણ પગાર ઘણો ઓછો મળતો હતો એટલે અપરિગ્રહનું (સંઘરો નહિ કરવાનું) અને સ્વભાવમાં જન્મથી જ સાહસિકતાનો અભાવ એટલે અસ્તેયનું (ચોરી ન કરવાનું) – આ બે વ્રતો બરાબર પાળતો હતો. મારા એ મિત્રને મળવાનું થયું તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મિત્રે ભવ્ય સૂટ પહેર્યો હતો. આવો સૂટ પહેરેલા માણસો આ પહેલાં મેં ફક્ત ફિલ્મોમાં જ જોયા હતા. એણે સિગારેટ સળગાવી ત્યારે તો આઘાતથી હું ધ્રૂજી ગયો. એ સમજી ગયો. એણે કહ્યું, ‘સૂટ અને સિગારેટથી તને આઘાત લાગ્યો, ખરું? પણ હું તો દારૂય પીઉં છું ને નોન-વેજ પણ ખાઉં છું. ટૂંકમાં ‘નો ચોખલિયાવેડા’!’ એ વખતે મને હજી હાર્ટની તકલીફ નહોતી, હોત તો એ વખતે જ મને એટેક આવી જાત. મેં કહ્યું, ‘ગાંધીજી, ખાદી, અગિયાર વ્રતો…’
‘ઓલ હંબગ, યાર! દુઃખી થવાના ધંધા! ભગવાનની દયા કે બધું વેળાસર છૂટી ગયું. ગાંધીજી અત્યારે આઉટડેટેડ ગણાય. મને આ જ્ઞાન થયું ત્યારે પહેલું કામ ગાંધીજીનાં તમામ પુસ્તકો પસ્તીવાળાને આપી દેવાનું કર્યું ને પછી લાગી ગયો કમાવા તે પાછું વળીને જોયું નથી. ને અત્યારે પૈસાની છોળો ઊડે છે. તું જે નિશાળમાં પંતૂજીગીરી કરે છે એવી પાંચ નિશાળોમાં મેં દાન આપ્યાં છે. પાપ કરવાનાં, પણ વચ્ચે વચ્ચે પુણ્ય પણ કરી લેવાનું. પુણ્ય પણ પાપના પૈસામાંથી જ કરવાનું, શું?’ કહી એ હસી પડ્યો.
એક યુવાન ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે પોતાની પાસે આવવાનું કારણ પૂછ્યું. પેલો કહે, ‘મારે દીર્ઘાયુષી થવું છે. મને લાંબું જીવન જીવવાનો ઉપાય બતાવો.’ ડોક્ટરો આયુષ્ય ટૂંકાવવામાં કારણરૂપ બને છે એવી સામાન્ય માન્યતા લોકોમાં પ્રવર્તે છે એની ડોક્ટરને ખબર હતી, પણ ડોક્ટરો આયુષ્ય લંબાવી પણ શકે છે એવું માનનાર પણ કોઈ છે એ જાણી ડોક્ટરને ઘણો આનંદ થયો. ડોક્ટરે પેલા યુવાનને પૂછ્યું, ‘તમારી અત્યારની ઉંમર કેટલી?’
‘ત્રીસ વર્ષ’ પેલાએ જવાબ આપ્યો.
‘દારૂ પીઓ છો?’
‘ના સાહેબ, હું મોરારજી દેસાઈ જેટલો જ દારૂનો વિરોધી છું.’
‘સિગારેટ પીઓ છો?’
‘અરે ડોક્ટરસાહેબ, હું તો ચા પણ નથી પીતો.’
‘ફિલ્મો જુઓ છો?’
‘ના સાહેબ! ગાંધીજીએ તો ‘રામરાજ્ય’ જેવી એકાદ ફિલ્મ પણ જોયેલી. મેં તો આજ સુધીમાં એકેય ફિલ્મ નથી જોઈ.’
‘ટીવી પર સિરિયલો જુઓ છો?’
‘‘ના સાહેબ, મેં ચેનલ નખાવી જ નથી. હું માત્ર દૂરદર્શન પર સમાચાર જ જોઉં છું.’
‘સમાચાર સાંભળો છો કે જુઓ છો?’
‘કોઈ ભાઈ સમાચાર બોલે છે ત્યારે જોઉં પણ છું અને સાંભળું પણ છું, પણ કોઈ બહેન સમાચાર બોલે છે ત્યારે નીચું જોઈને ફક્ત સમાચાર સાંભળું જ છું.’
‘પણ તો પછી જખ મારવા લાંબું જીવવું છે? તમે ઘેર જતા રહો, તમે લાંબુ જીવો કે ટૂંકું, તમારા માટે સરખું જ છે!’ ડોક્ટરે કંટાળીને કહી દીધું.
વીસ-પચીસ વરસની ઉંમરે તમે સેવેલા આદર્શો ત્રીસ-ચાળીસ વરસની ઉંમરે છૂટી ન જાય તો તમારું મગજ તપાસનો વિષય છે એમ નક્કી માનજો ને કોઈ સારા મનોચિકિત્સકની સલાહ લેજો.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here