ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક પ્રચારસભાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે,આગામી લોકસભાની ચૂંટણી એક મોટો પડકાર છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો બીજી તરફ તમામ વિરોધપક્ષો છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે અને યુપીમાં યોગી આદિત્યનાથે મુખ્યપ્રધાન તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી છે. ભાજપે યુપીમાં ગુંડા માફિયાઓની સમસ્યાનું નિરાકરણ કરવામાં સફળતા મેળવી છે. યુપીમાં હાલમાં ગુંડાગીરી કે દાદાગીરીનું રાજકારણ નથી ચાલતું. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કડક હાથે કામ લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરી બતાવ્યું છે. રાજયમાં યોગી આદિત્યનાથની સરકાર સત્તા પર આવ્યા બાદ ગુનેગારો અંકુશ હેઠળ છે. ઉત્તર પ્રદેશના ગુંડાઓ યોગી આદિત્યનાથથી ભય પામે છે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, યુપીમાં સપા- બસપાના ગઠબંધનનું કશું ઉપજવાનું નથી. બુઆ- ભતીજાની(માયાવતી-અખિલેશ યાદવ) દુકાન બિલકુલ ચાલવાની નથી. એને તો અલીગઢનું તાળું લાગી જશે. ભાજપ યુપીમાં 74થી વધુ સંસદીય બેઠકો જીતશે.