જાતીય શોષણ કે સતામણીના સંખ્યાબંધ આરોપોનો સામનો કરી રહેલા જાણીતા પત્રકાર અને કેન્દ્રના વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે આખરે પોતાના હોદા્નું રાજીનામું આપી દીધું હતું. અકબરે રાજીનામું આપી દીધા બાદ રાજકીય ક્ષેત્રમાં એના વિવિધ પ્રકારના પ્રત્યાઘાત પડયા હોવાનું જાણવા મળ્યું હતું. મી ટુ અભિયાન હેઠળ તેમની વિરુધ્ધ અનેક મહિલાઓએ જાતીય સતામણીના આક્ષેપ કર્યા હતા. ગત સપ્તાહે જ વિદેશ- પ્રવાસથી ભારત પાછા ફરેલા એમ જે અકબરે તેમની પર મૂકવામાં આવેલા આક્ષેપો બાબત નિવેદન કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે પોતાની ઉપર મૂકવામાં આવેલા તમામ આક્ષેપોને આધાર વિનાના ગણાવ્યા હતા. અેમ જે અકબરે તેમની ઉપર જાતીય સતામણીનો આરોપ મૂકનાર મહિલા પક્ષકાર પ્રિયા રમાણી વિરુધ્ધ દિલ્હીની હાઈકોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો. જોકે અકબરના રાજીનામાના સમાચાર જાહેર થયા બાદ પ્રિયા રમાણીએ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રિયા રમાણીએ જણાવ્યું હતું કે, અદાલતમાં પણ મને ન્યાય મળશે . અેમ જે અકબરનો અસલી ચહેરો લોકોની સામે આવશે.