પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી એક્સચેન્જ પ્રોગ્રામની અંર્તગત, પ્રતિનિધિમંડળ સાથે ચીનના પ્રવાસે જવાના હતા. આંતરરાષ્ટ્રીય વિભાગના એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશમંત્રી સુષમા સ્વરાજે તેમને ચીન જવાનું નિમંત્રમ આપ્યું હતું. પરંતુ બિજિંગ ખાતેના ચીનના સરકારી વહીવટીતંત્રે આ મુલાકાત અંગે કશું સ્પષ્ટીકરણ કર્યું નહોતું. મમતા બેનરજી ચીનના રાજકીય નેતૃત્વ સાથે પણ મુલાકાત યોજવાના હતા. આ મુલાકાત બાબત ચીન દ્વારા પુષ્ટિ કરવામાં આવી નહોતી. ચીન ખાતેના ભારતીય દૂતાવાસ દ્વારા ચીને રાજકીય બેઠક અંગે પુષ્ટિ કરવામાં આવી નથી એવું જણાવ્યું હતું. જેને કારણે મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમની ચીનની મુલાકાત રદ કરવાની ઘોષણા કરી હતી. બિજિંગ દ્વારા આ પ્રકારનું વલણ અપનાવવામાં આવ્યું હોવાથી ભારત અને ચીનના સંબંધોમાં કડવાશ આવવાની સંભાવના વધી જશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.