આઈપીએલ મેચની પ્રારંભિક સાત જેટલી મેચ ચેન્નઈમાં યોજાવાની હતી. હવે કાવેરી જળ વિવાદને કારણે મેચના આયોજન સામે વિરોધનો વંટોળ ઊઠ્યો છે. રાજકીય પક્ષો. રાજકીય આગેવાનો અને સાર્વજનિક સંસ્થાઓના વિરોધને લક્ષમાં રાખીનો ચેન્નઈ ખાતેની મેચ હવે અન્ય શહેરોમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હોવાની માહિતી સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી. જોકે હજી સુધી મેચ રમવા માટેના નવા સ્થળનું નામ જાહેકર કરવામાં આવ્યું નથી. ચેન્નઈમાં આજકાલ કાવેરી જળ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કાવેરી નદીના પાણીની વહેંચણીનો સર્વત્ર વિરોધ કરવામાં આવી રહયો છે. ગત મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ સમયે પણ ક્રિકેટ સ્ટેડિયમની બહાર લોકોએ વિરોધમાં દેખાવો યોજ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કાવેરી નદીના પાણીની વહેંચણી બાબત આપેલા ચુકાદામાં તામિલનાડુને મળનારા નદીના પાણીનો હિસ્સો ઘટાડી દીધો હતો અને કર્ણાટકના પાણીનો વધારી દીધો હતો. જેને કારણે તામિલનાડુના લોકો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આ વિવાદનું નિરાકરણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ કશા નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. કાવેરી વોટર રેગ્યુલેટરી બોર્ડની પણ હજી સુધી રચના કરવામાં આવી નથી.