તાજેતરમાં ભાજપની સંસદીય બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આગામી ઓગસ્ટ મહિનાથી બાળકોને વેકસિન આપવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનુું માનવું છેકે, કોરોનાની ચેઈન તોડવા માટે બાળકોને વેકસિન આપવાનું પગલું બહુ જરૂરી છે. કોરોનાની ત્રીજી લહેર આવી રહી હોવાની સંભાવના અનેક લોકોએ રજૂ કરી છે. બાળકોની શાળાઓ પણ જુદા જુદા રાજયોમાં ખોલવામાં આવી રહી છે. આવા સંજોગોમાં એ અત્યંત અનિવાર્ય છે કે સૌપ્રથમ જેમ બને તેમ બાળકોને સુરક્ષિત કરવામાં આવે. ભારતની વિશાળ જનસંખ્યામાં બાળકોની સંખ્યા પણ વિપુલ છે. મુંબઈમાં કોરોનાની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેર દરમિયાન બાળકોમાં સંક્રમણ વધુ થયાનું જાણવા મળ્યું હતું. જો ત્રીજી સંભવિત લહેર આવવાની હોય તો એમાં સૌથી વધુ જોખમ બાળકો માટે છે, એટલે જેમ બને એમ જલ્દી બાળકોને સુરક્ષિત કરવાના પ્રયાસ થાય એ જરૂરી છે.