કોવિડની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી રહી છેઃ નીતિન પટેલ

 

ગાંધીનગરઃ નવરાત્રિ ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર છે. કોરોનાકાળમાં ગરબાનું આયોજન થશે કે નહિ થાય તે મોટો પ્રશ્ન હતો. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જરૂર પડે નવરાત્રિમાં છૂટછાટ આપવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય સરકાર નવરાત્રિમાં કેટલા સમય માટે છૂટછાટ આપી શકાય તેનો વિચાર કરશે. 

રૂપાલમાં આયોજિત એક કાર્યક્રમ બાદ ગરબા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું કે, શાળાઓ ચાલુ કરવા અંગે નિવેદન ભારત સરકારની ગાઇડ લાઇન હજુ સ્પષ્ટ નથી. રાજ્ય સરકારે આ વિશે કોઈ વિચાર કર્યો નથી. પરંતુ સરકાર નવરાત્રિના આયોજન અંગે વિચારી રહી છે. આ આયોજન કેવી રીતે કરવું તેના સંદર્ભે ચર્ચા કરીએ છીએ. શક્ય એટલી રાહત અને છૂટછાટ આપી શકાય તે વિશે ચર્ચા ચાલી રહી છે. મર્યાદામાં કેવી રીતે, કેટલા લોકો, કેટલા સમય માટે ગરબા રમી શકે તે અંગે વિચારણા અમે કરી રહ્યાં છે. સરકાર કોવિડની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી રહી છે. યોગ્ય સમયે ગરબા અંગે સરકાર જાહેરાત કરશે. 

આ અંગે સુરતના ગરબા આયોજક હીરેન કાકડિયાએ આ કહ્યું કે, સરકાર પરમિશન આપશે, તો પણ અમારે જે તૈયારીઓ કરવાની હતી, તે દરેકમાં સમસ્યાઓ આવશે. ઓરકેસ્ટ્રાનું બુકિંગ, પાર્ટીપ્લોટનું બુકિંગ, સાઉન્ડ સિસ્ટમનું આયોજન વગેરે કરવું હવે શક્ય નથી. આ સમયમર્યાદા ક્રોસ થઈ ગઈ છે. સરકાર જો પરમિશન આપે તો અમારા તરફથી પ્લાનિંગ કરવું ઘણું અઘરું છે. તો બીજી તરફ લોકો પણ ડરેલા છે. તેથી તેઓ મન મૂકીને ગરબા નહિ રમી શકે. તો અન્ય ગરબા આયોજન વિજયસિંહ વાળાએ કહ્યું કે, હાલ અમારા માટે પ્લાનિંગ કરવું શક્ય નથી. અમને આયોજન કરવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગતો હોય છે. તેથી જો સરકાર વહેલો નિર્ણય લે તો જ અમારા માટે પ્લાનિંગ શક્ય છે. મારી વિનંતી છે કે સરકારે છૂટ આપવી જોઈએ. માસ માટે નહિ, પણ ઓછા લોકો સાથે મંજૂરી આપવી જોઈએ. કોરોનામાંથી હવે બહાર નીકળવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here