૨૦૨૦માં ૧૫.૫ કરોડ લોકો ગંભીર ભૂખમરાનો શિકાર બન્યાં હતાંઃ UN

 

યુનાઇટેડ નેશન્સઃ ૨૦૨૦માં ઓછામાં ઓછા ૧૫.૫ કરોડ લોકોને તીવ્ર ભૂખમરાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ૧,૩૩,૦૦૦ લોકોને તો ભૂખમરાથી થતા મોતથી બચાવવા તાત્કાલિક અન્નની જરૂર હતી. ૨૦૨૧નું ચિત્ર પણ આટલું જ અથવા વધુ ખરાબ છે એવો અહેવાલ બુધવારે ૧૬ સંસ્થાએ જારી કર્યો હતો.

અહેવાલમાં એવા ૫૫ દેશના આવરી લેવાયા છે, જે અત્યારે ખાદ્યાન્ન સહિતની સહાયનો ૯૭ ટકા હિસ્સો મેળવી રહ્યા છે. મહામારીને પગલે ૨૦૨૦માં વિશ્વના વિવિધ વિસ્તારોમાં લાંબા ચાલેલા ઘર્ષણને કારણે ખાદ્યાન્નની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. ૧૫.૫ કરોડ લોકોને ખાદ્યાન્નની જરૂરિયાત માટે કટોકટી, ઇમરજન્સી અથવા દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ની તુલનામાં ભૂખમરાની સમસ્યા વેઠનારા લોકોની સંખ્યામાં લગભગ બે કરોડ લોકોનો ઉમેરો થયો હતો. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ભૂખમરાની સમસ્યા વેઠનારા લગભગ ૬૬ ટકા લોકો ૧૦ દેશમાં હતા. જેમાં કોંગો, યમન, અફઘાનિસ્તાન, સિરિયા, સુદાન, ઉત્તર નાઇજિરિયા, ઇથિયોપિયા, દક્ષિણ સુદાન, ઝિમ્બાબ્વે અને હાઇતીનો સમાવેશ થાય છે. ભૂખમરાને કારણે મોતનું જોખમ ધરાવતા ૧,૩૩,૦૦૦ લોકોમાં બુરકિના ફાસો, દક્ષિણ સુદાન અને યમનના લોકો સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેર્સે ખાદ્યાન્નની કટોકટી અંગેના ૩૦૭ પાનાંના વૈશ્વિક અહેવાલની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે, ખાદ્યાન્નની વ્યાપક અસુરક્ષાનો સામનો કરી રહેલા તેમજ તાત્કાલિક ખોરાક, પોષણ અને ગુજરાન ચલાવવા સહાયની જરૂરિયાતવાળા લોકોની સંખ્યા વધી રહી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ચીફ ઇકોનોમિસ્ટે પાંચમો વાર્ષિક અહેવાલ જારી કરતા જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં દુષ્કાળ અને ભૂખમરા માટે કોઈ સ્થાન નથી. આપણે સમસ્યાના ઉકેલ માટે ભૂખમરા અને ઘર્ષણ બંનેનું સાથે સમાધાન લાવવા પર ધ્યાન કેનિ્દ્રત કરવું જોઇએ. આપણે ઘર્ષણનું રાજકીય સમાધાન નહીં શોધીએ ત્યાં સુધી રોજિંદા જીવનનિર્વાહ માટે પણ સહાયની જરૂરિયાતવાળા લોકોની સંખ્યા વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here