નવી દિલ્હીઃ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે મુસાફરોની સંખ્યા પરના નિયંત્રણો ૧૮મીથી હટાવી લેવામાં આવશે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેર કર્યું હતું. ૧૮મી સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ૮૫% પ્રવાસીઓને જ છૂટ આપવામાં આવી હતી. પહેલી જૂન અને પાંચમી જુલાઈ વચ્ચે ૫૦ ટકા, પાંચ જુલાઈ અને ૧૨ ઑગસ્ટ વચ્ચે ૬૫ ટકા અને ૧૨ ઑગસ્ટથી ૧૮ સપ્ટેમ્બર વચ્ચે ૭૨.૫ ટકા ક્ષમતા ભરવાની છૂટ આપવામાં આવી હતી. વિમાની પ્રવાસ માટે પ્રવાસીઓની માગમાં વધારો થયો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મંત્રાલયે બહાર પાડેલા ઓર્ડરમાં કહ્યું છે. બે મહિનાના બ્રેક પછી ૨૫ મે ૨૦૨૦ના દિવસે સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પુનઃ શરૂ કરી હતી તે વખતે કુલ ક્ષમતાના ૩૩% જેટલા પ્રવાસીઓને લઈ જવાની છૂટ હતી. ડિસેમ્બર ૨૦૨૦થી પહેલી જૂન ૨૦૨૧ સુધીમાં ૮૦ ટકા ક્ષમતા ભરવાની પરવાનગી આપવામાં આવી હતી. કોરોનાના કેસ દેશભરમાં વધી જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા પ્રવાસીઓની સંખ્યા પરના નિયંત્રણ ૮૦ ટકાથી ઘટાડી ૫૦ ટકા કરવામાં આવી હતી. જેનો અમલ પહેલી જૂન ૨૦૨૧થી શરૂ થયો હતો.