હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ સ્વખર્ચે સરકારી શાળા ચણી પત્નીને જન્મદિવસની ભેટ આપી

 

હળવદઃ ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ સાવ અનોખી રીતે પોતાના પત્નીનો જન્મદિવસ ઊજવ્યો હતો.

 જીંદગીના પચાસ વર્ષ પુરા કરીને અર્થઊપાર્જનનો ત્યાગ કરનાર ડો. જગદીશ ત્રિવેદીએ મોરબી જીલ્લાના હળવદ શહેરમાં એક સરકારી પ્રાથમિક શાળા પાયામાંથી નવી બનાવીને એને પોતાના પત્ની નીતાબહેનનું નામ આપી એ શાળાનું પત્નીના જન્મદિવસે ઉદ્ઘાટન કરી પત્નીને જન્મદિવસની અનોખી ભેટ આપી હતી.

આ શાળાનાં ઉદ્ઘાટક અને લ્ઞ્સ્ભ્ – સંસ્થા – અમદાવાદના અધ્યક્ષ પ.પૂ. માધવપ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે જગદીશના વસ્ત્રો જેવો જ ઊજળો એનો વાનપ્રસ્થ છે. 

આ સમારંભના મુખ્યઅતિથિ તેમજ વિશ્વવિખ્યાત હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે મને કોઈ પૂછે કે હાસ્યક્ષેત્રમાં આપનું શું પ્રદાન છે? તો હું ગૌરવથી કહીશ કે જગદીશ ત્રિવેદી મારું પ્રદાન છે.

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત પ્રખ્યાત વાર્તાકાર રજનીકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે જગદીશ ત્રિવેદી સામાન્ય માણસમાંથી ઉદાર સમાજસેવક થયો એ વિકાસ અભિનંદનીય છે. 

ડો. જગદીશ ત્રિવેદીએ આ ઐતિહાસીક શાળા વિશે માહિતી આપતા કહ્યું હતું કે આ શાળા ૧૫૬ વરસ પહેલા હળવદના રાજવી રણમલસિંહજીએ પોતાના દરબારગઢમાં તા. ૨૦/૨/૧૮૬૫ના રોજ શરૂ કરી હતી. ત્યારબાદ ૧૬/૬/૧૯૫૬માં તત્કાલિન ધારાસભ્ય લાભશંકર મગનલાલ શુક્લ તરફથી જમીનનું દાન મળતાં સરકારે શાળા બનાવી હતી જેનું ભૂમિપૂજન ભુદાનયજ્ઞનાં પ્રણેતા મહાત્મા વિનોબાજીએ કર્યું હતું. આ શાળાનાં પટાંગણમાં હળવદ તાલુકાનાં તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ સાથેનો સ્મૃતિસ્તંભ પણ વરસોથી ઊભો છે. આવી ઐતિહાસીક શાળા ૬૫ વરસ બાદ જર્જરીત થતાં મને ૨૦૨૦માં નવું ભવન બનાવવાનું સૌભાગ્ય મળ્યું અને એ શાળાને મારા પત્નીનું નામ મળ્યું એ અમારા પરિવારનું અહોભાગ્ય છે. આ પ્રસંગે વિવેકગ્રામ – માંડવી કચ્છ દ્રારા પ્રકાશિત ડો. જગદીશ ત્રિવેદીનાં બે પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here