રાજયસભામાં છેલ્લા કેટલાક વરસોથી નરેન્દ્ર મોદી સરકારની વારંવાર આલોચના કરનારા જાણીતા આલોચક સંસદસભ્ય નરેશ અગ્રવાલ સમાજવાદી પક્ષ છોડીને ભાજપમાં પ્રવેશ્યા છે. રાજયસભામાં સપા સભ્ય નરેશ અગ્રવાલજી નરેન્દ્ર મોદી સરકારની અને તેની કામંગીરીની હંમેશા ટીકા કરતા રહ્યા છે. તાજેતરમાં થનારી રાજયસભાની ચૂંટણીમાં તેમને તેમના પક્ષ સમાજવાદી પક્ષનું સમર્થન ન મળ્યું હોવાથી તેઓ નારાજ થયા હોવાનું કહેવામાં આવે છે. તેમણે સપાના મોવડીમંડળ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોની ટીકા કરતાં કહ્યું હતું કે, આજકાલ તો ઉમેદવારોની પસંદગીમાં ડાન્સરો અને ફિલ્મ કલાકારોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમણે સપાના મોવડીમંડળ દ્વારા કરવામાં આવેલી અભિનેત્રી જયા બચ્ચનની પસંદગીની ટીકા કરી હતી. વિદેશમંત્રી શ્રીમતી સુષમા સ્વરાજે ટવીટ કરીને અગ્રવાલજીના ભાજપ પ્રવેશનો આવકાર આપ્યો હતો પણ તેમણે કહયું હતું કે, શ્રીમતી જયા બચ્ચન વિષે કરવામાં આવેલી ટિપ્પણી અનુચિત અને અસ્વીકાર્ય છે.