બિહાર સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકારે સીબીઆઈને સુશાંત સિંહની તપાસ સોંપી દીધી હતી તેમજ એ અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત ત્રણ જણા સામે કેસ દાખલ કર્યો હતો. જેમાં રિયાના પિતા ઈન્દ્રજીત, ભાઈ શોવિક, સહયોગી સેમ્યુઅલ મિરંડા, શ્રુતિ મોદી વગેરેનો સમાવેશ થાય છે. સીબીઆઈએ આ કેસ એસઆઈટીને સોંપી દીધો છે. આ એજ એસઆઈટી છે, જેણે અગાઉ વિજય માલ્યા અને વીઆઈપી ચોપર ગોટાળાની તપાસ કરી હતી. તપાસ સીબીઆઈના જોઈન્ટ ડિરેકટર મનોજ શશીધર અને ડીઆઈજી ગગનદીપ ગંભીરની દેખરેખ હેઠળ કરવામાં આવશે. બન્ને અધિકારીઓ ગુજરાત કેડરના આીપીએસ છે. ઈન્વેસ્ટીગેશન ટીમની આગેવાની આઈએસપી નુપુર પ્રસાદ કરશે. નુપુર પ્રસાદ હાલમાં સૃજન ગોટાળે અને જર્નાલિસ્ટ ઉપેન્દ્ર રાયનો કેસ સંભાળી રહ્યા છે.
ઈડીએ સેમ્યુઅલ ની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. સુશાંતના સહયોગી રહેલા સેમ્યુઅલ મિરાંડા ની ઈડીએ સતત બે દિવસ સુધી પૂછપરછ કરી હતી. ઈડીએ રિયા ચક્રવર્તી અને એના પરિવારના સભ્યોની વિરુધ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના પરિવારે રિયા પર સુશાંતના બેન્ક એકાઉન્ટોમાંથી 15 કરોડ રૂપિયાની ઉચાપત કર્યોનો આક્ષેપ કર્યો હતો. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
દરમિયાન સુશાંત સિંહના પિતાની એફઆઈઆરને કારણે કેસની તપાસ કરવા માટે મુંબઈ ગયેલી બિહારના પોલીસ અધિકારીઓની ટીમ સાથે મુંબઈની પોલીસે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો હતો. ચાર સભ્યોની તપાસ ટીમ ગુરુવારે બિહાર પાછી ફરી હતી. આ ટીમ એસએસપી ઉપેન્દ્ર શર્માને તેમજ આઈજી સંજય સિંહને પોતાનો અહેવાલ સોંપશે. તપાસ માટે મુંબઈ ગયેલા તપાસ ટીમના હેડ એસપી વિનય તિવારીને મુંબઈમાં મુંબઈ મહાનગરપાલિકાના સત્તાવાળાઓએ કવોરેન્ટાઈન કર્યા હતા. તેઓ હજી બિહાર પાછા ફરી શક્યા નથી. બિહારના પોલીસ વડાની વિનંતી બાદ પણ મુંબઈની પોલીસે પોતાનું જક્કી વલણ બદલ્યું નથી. માત્ર મિડિયામાં જ નહિ, પણ સોશ્યલ મિડિયા સહિત આમ જનતામાં પણ મુંબઈની પોલીસ દ્વારા કરાતી તપાસને શંકાની નજરે જોવામાં આવી રહી છે. મુંબઈની પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી રહી નથી. સુશાંત સિંહ રાજપૂત અને તેની એકસ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુને આત્મહત્યામાં ખપાવતી મુંબઈ પોલીસનો ઈરાદો સ્પષ્ટપણે અનેક સવાલો ઊભા કરે છે. અનેક મહત્વની તેમજ કેસ સાથે અને સુશાંત સાથે સંકળાયેલી વ્યક્તિઓના નિવેદન પણ લેવામાં આવ્યાૈ નથી. મુંબઈ પોલીસ તેમજ બિહાર પોલીસ પાસે સુપ્રીમ કોર્ટે તેમની તપાસનો રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે. સુશાંત સિંહ અને દિશા સાલિયાનના મૃત્યુનું રહસ્ય તેમજ રોજ થતાં નવા નવા ખુલાસાઓ અને ઘટસ્ફોટને લીધે આ કેસ વધુ પેચીદો બનતો જાય છે. સીબીઆઈને આ કેસ સોંપાયા બાદ હવે આખા પ્રકરણે નવો વળાંક લીધો છે. ઈડી દ્વારા શુક્રવાર 7 ઓગસ્ટના હાજર થવાનું રિયાને ફરમાન જારી કરવામાં આવ્યુ હોવાનું સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. દિશા સાલિયાનના કેસમાં તેની તપાસ, પોસ્ટપોર્ટમ સહિતના પુરાવાઓની ફાઈલ ડિલિટ થઈ ગઈ હોવાનું કહીને મુંબઈ પોલીસે શંકા ઊભી કરી છે. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રની સરકારનું વલણ ન્યાય સાથે સુસંગત લાગતું નથી. કાર્યકુશલતા માટે પ્રશંસા મેળવનારી મુંબઈની પોલીસે કશાક દબાણ હેઠળ તપાસ કરવી પડી છે તેવી માન્યતા દ્ઢ થતી જાય છે. મિડિયામાં મુંબઈ પોલીસ અને સીબીઆઈ – હવે એકમેક સાથે કેવા સહકારથી કેસની તપાસ આગળ ધપાવે છે એ તો આવનારા સમયમાં જ જાણવા મળશે.