મુંદરાઃ લોકડાઉન દરમ્યાન ડાયમંડ સિટી સુરત ખાતે મૂળ કચ્છ-વાગડના પલાંસવા ગામના દાતા અશોકભાઇ મણિયારે મિત્ર સુરતના ડેપ્યુટી મેયર નીરવભાઇ શાહ સાથે મળીને દરરોજ અંદાજે ૧૦ હજાર જેટલા લોકોને ભોજન પહોંચાડી જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ આરંભી માનવતાની મહેક પ્રસરાવી હતી. કચ્છ-વાગડ પલાંસવાના સમાજપ્રેમી અને કચ્છ વાગડ સાત ચોવીસી સમાજના પ્રમુખ તથા દાનવીર અશોકભાઇ વેલજીભાઇ મણિયારે રોજનું કમાઇને પેટિયું રળતા શ્રમિકો અને ગરીબોના પરિવારજનોને ભોજન અને અબોલ પ્રાણીઓને ફ્રૂટ-શાકભાજી-દૂધ-બિસ્કિટ વગેરે ખવડાવવાના ‘સંપ્રતિ જીવ મૈત્રી સેવાયજ્ઞ’માં તન-મન-ધનથી સેવા આપી હતી. ‘સંપ્રતિ અન્નક્ષેત્ર’ના માધ્યમે શરૂઆતમાં ત્રણ હજાર માણસોની ભોજન વ્યવસ્થા શરૂ કર્યા બાદ વિકટ પરિસ્થિતિ જોતાં રોજ ૧૦,૦૦૦થી વધુ વ્યક્તિઓને સુરત-અડાજણના વિવિધ ક્ષેત્રોમાં સુવ્યવસ્થિત રીતે ભોજન પહોંચાડવા લાગ્યા હતા. રસોડાના મેનેજમેન્ટમાં કચ્છ વાગડ સમાજના વિરેન્દ્રભાઇ વોરાએ તથા કે.વી.એસ.સી. સમાજના ભરતભાઇ સંઘવીએ સહયોગ આપ્યો હતો. કોરોનાના વિકટ કાળમાં અશોકભાઇએ આશરે ૨,૫૦,૦૦૦ જેટલા ભૂખ્યાજનોનો જઠરાગ્નિની ઠારીને માનવતાની મહેક પ્રસરાવી છે.’