પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીની સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી જબરો આંચકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ કૌભાંડના કેસ બાબત પૂછપરછ માટે કોલકતાના પોલીસ કમિશનર રાજીવકુમાર ને સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત રહેવાનો આદેશ આપ્યો હતો. એ સાથે સુપ્રીમ કોર્ટે એ વાતની સ્પષ્ટતા પણ કરી હતી કે, હાલ તેમની ધરપકડ કરવામાં નહિ આવે. મુખ્યપ્રધાન મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના પણ વડાં છે. તેઓ પોલીસ કમિશનર રાજીવકુમારની ધરપકડનો વિરોધ કરવા માટે જાહેરમાંં ધરણા પર બેઠાં હતા, કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુની હાજરીમાં તેમણે ધરણા સમાપ્ત કર્યા હતા. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી માનહાનિની અરજીમાટે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ- ચીફ સેક્રેટરી, ડીજીપી- ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ,તેમજ કોલકતાના પોલીસ કમિશનરને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે.આ કેસની આગળની સુનાવણી માટે 20 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. મમતા બેનરજીની સરકારવતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, સીબીઆઈ કોલકતાના પોલીસ કમિશનરને પરેશાન કરવા માગે છે. સીબીઆઈ પોલીસતંત્રના અધિકારીઓને હેરાન કરી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે,રાજવકુમારને એમની પૂછપરછ કરવામાં આવે એ બાબત શું વાંધો છે..તેમણે સીબીઆઈને પૂછપરછમાં સહકાર આપવો જોઈએ.