સમુદ્રમાંથી પ્રગટ થયેલાં દેવી મા સુંદરી ભવાની માતાજી

0
2403

સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલા પાંચાળ પ્રદેશમાં પાંડવોએ વસવાટ કરેલો તેના ઐતિહાસિક પુરાવાઓ હસ્તગત થયા છે. અતિ જર્જરિત હાલતમાં પ્રતિમાઓ મળી આવી છે, જે કલાત્મક લાગે છે. વર્ષોથી ખવાતી જતી પ્રતિમામાં આબેહૂબ પાંડવો, દ્રૌપદી, શ્રીકૃષ્ણ છે. કુલ સાત પ્રતિમાઓ હારબંધ નિહાળવા મળે છે. આ પ્રતિમાઓની સાથે મળી આવેલી સમુદ્રમાંથી પ્રગટ થયેલાં દેવી મા સુંદરી ભવાનીનો પણ સમાવેશ થાય છે. અલૌકિક મૂર્તિવાળા મંદિર અને સુંદરી ભવાનીના ઇતિહાસ પર દષ્ટિગોચર કરીએ.

સમુદ્રમાં વસવાટ કરતી અનેક દેવીઓ છે, પણ સમુદ્રમાંથી બહાર આવી પૃથ્વી ઉપર વસવાટ કરતાં હોય તેવાં સમુદ્રનાં માતાજી એટલે સુંદરી ભવાની. તેમનું મંદિર જે હળવદથી 40 કિલોમીટર દૂર આવેલા પાંચાળ પ્રદેશમાં આવેલું છે, સારાયે દેશનું બેનમૂન ઐતિહાસિક બેનમૂન યાત્રાધામ ગણાય છે. આ માતાજીના નામથી ગામનું નામ જ ‘સુંદરી ભવાની’ છે.
મહાભારતકાળ પૂર્વેના આ મંદિર સાથે કણ્વ ઋષિથી માંડીને પાંડવોની દંતકથા સંકળાયેલી છે! અહીં અનેકાનેક પથ્થરો પણ બ્રહ્મશિલા અને ધર્મશિલાનું સ્વરૂપ ગણી પૂજાય છે! પ્રાચીન કાળમાં મહાન ઋષિ-મુનિઓની યોગભૂમિ તેમ જ અવતારી યુગપુરુષનાં પાવન પગલાં અને ધર્મ-અધ્યાત્મનો અમૂલ્ય વૈભવ ધરાવતી આ ભૂમિ સુંદરી ગામના પાદરમાં અગાઉ દરિયો હતો અને તેથી વહાણવટું કરવાનું આ મુખ્ય કેન્દ્ર હતું. અહીં નજીકમાં જ ગાઢ જંગલ હતું! સતયુગમાં કણ્વમુનિ અહીં તપ કરતા હતા, જેથી આ સ્થાનની રક્ષા માટે કણ્વ મુનિએ સમુદ્રની આરાધના કરતાં મા ભવાની (માતા સામુદ્રી) પ્રસન્ન થયાં અને સમુદ્રમાંથી બહાર નીકળી પોતાના વાહન સિંહ ઉપર સવાર થઈને અહીં પધાર્યા હતા.

એક કથા મુજબ ઋષિ વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની પુત્રી શકુંતલાનો ઉછેર આ કણ્વાશ્રમમાં થયો હતો અને જેના નામ ઉપરથી આપણો દેશ ભારત વર્ષ કહેવાય છે તે જ મહાપરાક્રમી ભરતનો જન્મ આ જ સ્થળે રાજા દુષ્યંત અને શકુંતલાના મેળાપથી થયેલો. આજે પણ આ કથાની યાદી રૂપે શ્રી કણ્વેશ્વર મહાદેવનું નાનકડું મંદિરની નજીકમાં જ આવેલું છે.
સુંદરી ભવાની માતાજી અનેક જ્ઞાતિનાં કુળદેવી છે, પણ વિક્રમ સંવત 1987માં માતા સામુદ્રીના મંદિરનો જીર્ણોદ્ધાર દશા સોરઠિયા વણિક અમરચંદ માધવજી વૈદ્યે કરાવ્યો હતો. 1930માં શ્રી શંકર ભૂમાનંદ સ્વામી દ્વારા મંદિરનું સંચાલન થતું હતું તે સમયે 1930 અને 1938માં મહારાજા ઘનશ્યામસિંહે 15,122 ગજ જમીન 1008 રૂપિયામાં આપી હતી. આથી આ મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે.

શ્રી સુંદરી ભવાની માતાજી મંદિરની અંદર આરસની વિશાળ કલાત્મક મૂર્તિઓ છે. સુંદર નકશીકામથી શોભતી આ મૂર્તિ નયનરમ્ય લાગે છે. માથે લાલચટક ચૂંદડી, ચાંદીનો મુગટ, ઉપરના ભાગે ચાંદીનાં છતર અને હાથમાં તલવાર તથા ગળામાં હાર તો નાકે નથડી શોભે છે.
આ પ્રદેશ ખૂબ જ પ્રાચીન હોવાથી આજે પણ ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, યુધિષ્ઠિર સહિત પાંચ પાંડવો અને દ્રૌપદી તથા શ્રીકૃષ્ણની મૂર્તિઓ આજે જર્જરીત હાલતમાં છે, છતાં પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત છે. આ સાતેય મૂર્તિઓ આજે દુર્લભ છે., તેની ઉપર સમય-કાળની થપાટો લાગ્યે જ જાય છે છતાં ઐતિહાસિક વિરાસતસમી સુંદરી ભવાનીનું અનેરું આકર્ષણ છે. પુરાતત્ત્વ ખાતું ખાસ આ મંદિરના અવશેષો પર પૂરતું ધ્યાન આપ છે અને તેની જાળવણી માટે અથાગ મહેનત કરે છે. મંદિરની બહારના ભાગે આવેલી જમીનના પેટાળમાં અનેક મૂર્તિઓ દટાયેલી હોવાનું હોવાનું પુરાતત્ત્વવિદોનું માનવું છે! કારણ આ જગ્યાએ હાલમાં તૂટેલી મૂર્તિઓ – સ્તંભોની નિશાનીઓ જોવા મળે છે.
મંદિરની બાજુમાં જગતહિત આશ્રમ આવેલો છે. રોજ અસંખ્ય યાત્રાળુ આ મંદિરનાં દર્શનાર્થે આવે છે, તેથી જગતહિત આશ્રમ દ્વારા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. આશ્રમની સામેના ભાગે વિશાળ બગીચો છે.
સુંદરી ભવાની માતાજી મંદિરથી થોડે દૂર દ્રૌપદીની કલાત્મક ચોરી આવેલી છે, જ્યાં તેમનાં લગ્ન થયાં હતાં. આથી પાંડવો-દ્રૌપદી-શ્રીકૃષ્ણનો સંગમ પાંચાળની પાવન ભૂમિ પર થયો હશે તેની સાક્ષીરૂપ મૂર્તિઓ – ચોરી અને અન્ય મૂર્તિઓ મળી આવી છે.
પ્રવાસનની દષ્ટિએ શ્રી સુંદરી ભવાની માતાજી મંદિરની આસપાસ વિહરવા માટે ઉત્તમ સ્થળ છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલા મંદિરે જવા માટે સુરેન્દ્રનગર – મોરબીથી જઈ શકાય છે.
સુંદરી ભવાની મંદિરની નજીક બીજાં અનેક જોવાલાયક સ્થળો છે, જેમાં ઓલિયા ભગતની સમાતો, ગૌતમ મુનિના ગરમ પાણીના કુંડ, ખાપરા કોડિયાનાં ભોંયરાં, ડાંગેશ્વર મહાદેવ, સૂરજ દેવળ, સોનગઢનો કિલ્લો, અનસૂયા આશ્રમ, નાથગુફા, દ્રૌપદી વડ તેમ જ વિશ્વવિખ્યાત ત્રિનેત્રેશ્વર મહાદેવ (તરણેતર – મહાદેવ)નું અતિ કલાત્મક મંદિરનો સમાવેશ થાય છે. આમ ઝાલાવાડની પાવનભૂમિ પાંચાળમાં આવેલા શ્રી સુંદરી ભવાની માતાજીનાં અલૌકિક દર્શને એક વાર જરૂરથી આવશો અને કુદરતી નજારો મન ભરીને માણજો..

લેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here