શ્રી ઉમિયા ધામ, શિકાગો મિડવેસ્ટ ટીમ દ્વારા ત્રીજી જૂને ઇલિનોઇસમાં કેરોલ સ્ટ્રીમમાં રાના રીગન કોમ્યુનિટી સેન્ટરમાં મા ઉમિયા માટે દ્વિતીય પ્રાણપ્રતિષ્ઠા અને પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આનું આયોજન શ્રી ઉમિયા ધામ શિકાગો મિડવેસ્ટ દ્વારા થયું હતું.
આ મહોત્સવમાં ૭૦૦થી વધુ ભકતો હાજર રહ્યા હતા. માતાજી પાલકી પૂજા અને રથયાત્રાની શરૂઆત ૪૫૭ સેન્ટ પોલ બુલેવર્ડથી થઈ હતી અને વિવિધ વિસ્તારોમાંથી ગાતાં, નાચતાં, ગરબા કરતાં કરતાં પસાર થઈ હતી.
માતાજી હવન આઉટડોર ટેન્ટમાં યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પરિવારોએ ભાગ લીધો હતો. વૃક્ષો નીચે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ યજ્ઞ જાણે વૃંદાવનમાં યોજાતો હોય તેવી અનુભૂતિ ભકતોએ કરી હતી. આ પછી રાના રિગન સેન્ટરમાં શ્રી ઉમિયા ધામ શિકાગો મિડવેસ્ટની મહિલાઓની ટીમ દ્વારા ભજનો અને ધૂન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રજૂ થયા હતા.
મહાઆરતી ઉષામણિ દરમિયાન શ્રી ઉમિયા ધામ શિકાગો મિડવેસ્ટના ચેરમેને જાહેરાત કરી હતી કે માતાજીના ભાવિ મંદિર માટે સંસ્થાએ ૨૯ એકરનો પ્લોટ હસ્તગત કર્યો છે. કાર્યક્રમમાં ઘણા નવા પરિવારોએ પણ ભાગ લીધો હતો. વિવિધ સંસ્થાઓ, જેવી કે માનવસેવા મંદિર, ભારતીય સિનિયર સિટિઝન્સ ઓફ શિકાગો, યુનાઇટેડ સિનિયર પરિવાર, શિકાગો, સિનિયર સિટિઝન્સ પરિવાર ઓફ એલજીન, ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો, કેપીએસ, ઊંઝાના અગ્રણી સામુદાયિક નેતાઓ અને જલારામ મંદિરના સ્વયંસેવકો હાજર રહ્યા હતા.