અમદાવાદઃ દેશનાં શહીદોને વિશિષ્ટ રીતે શ્રદ્ધાંજલીનો એક કાર્યક્રમ ગત તા. ૨૩મી માર્ચે અમદાવાદમાં યોજાઈ ગયો. જેમાં જાણીતી સ્વૈચ્છિક સંસ્થાઓ અને હસ્તીઓ દ્વારા રેકોર્ડ બ્રેક રક્તદાન બોટલો એકત્રિત કરવામાં આવી. જેમાં સમગ્ર ભારતભરમાંથી ૯૭,૭૪૪ બ્લડ બોટ એકત્રિત થયેલ. આ વિક્રમને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
નેશનલ ઇન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશન (NIMA)ના પ્રમુખ ડો. હસમુખ સી. વૈદ્ય અને કન્વીનર ડો. અનીલ ખત્રીના માર્ગદર્શનમાં ‘સંવેદના’ અંતર્ગત પ્રત્યેક ભારતીયને રાષ્ટ્રીયતા અને આઝાદીનાં લડવૈયા શહીદ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવનાં સ્મરણાર્થે સમગ્ર ગુજરાતમાં ૨૩મી માર્ચના શહીદ દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ૯૦,૦૦૦ રક્તદાન દ્વારા બ્લડ બોટલ એકઠી કરીને શહીદોને સ્મરણ કરી શ્રદ્ધાંજલીનાં સંકલ્પમાં રાષ્ટ્રિયસ્તરની સસ્થાઓ (NIFFA, NIMA, પ્રજાપિતા બ્રહ્માકુમારી, ઇન્ડિયન રેડક્રોસ, NBTC (રક્ત સંચરણ) જેવી સેવાભાવી સંસ્થાઓ જોડાઈ હતી.
આ ઉપરાંત ગુજરાતમાં ભારતીય સિંધુ સભા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, રોટરી ક્લબ, નોબલ ઇનિ્સ્ટટ્યુટ ઓફ ગેસ્ટ્રોએન્ટોલોજી, થેલેસેમીયા જાગૃતિ ફાઉન્ડેશનનાં સહકારથી ગુજરાતમાં ૬૦થી વધુ અને સમગ્ર ભારતમાં ૧૪૭૬ કેન્દ્રોમાં ૯૭,૭૪૪ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. જેની નોંધ રેકોર્ડ તરીકે ગીનીસ બુકે લીધી છે.
આ સમગ્ર કાર્યક્રમને ગુજરાતનાં ગવર્નર મહામહિમ શ્રી દેવવ્રતે પણ સહયોગ આપ્યો હતો. ભારત સ્તરે યોજાયેલ આ કાર્યક્રમને બોલીવુડનાં કલાકારો કૈલાશ ખેર, કરણ રાઝદાન, સોનુ સુદ, ગુરુદાસ માન, રણદીપ હુડા, મોહન જોશી, અશોક હાન્ડા (આર્ટ ડિરેક્ટર) સહિત એન્ના કુન્ડુ, શીવ ખેરા, મહેન્દ્રસિંહ ધોની જેવી હસ્તીઓએ સમર્થન આપ્યું હતું. આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં ભારતનાં ૨૬ રાજ્યો એક સાથે જોડાઈને રાષ્ટ્રભાવનાનો એક અદ્ભૂત સંદેશો આપ્યો છે.