વિદેશી ઠંડાં પીણાં… ઘૂંટડે ઘૂંટડે માંદગી, દેશી પીણાં… ઘૂંટડે ઘૂંટડે તાજગી

0
1129

ઉનાળામાં અમીર હોય કે ગરીબ, સૌ કોઈ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવાં ઠંડાં પીણાં પીતા હોય છે. આપણે ત્યાં આજે પણ એક વર્ગ ગરમીમાં રાહત મેળવવા લીંબુ શરબત, નાળિયેર પાણી, શેરડીનો રસ અને છાશ જેવાં પરંપરાગત પીણાં પીવાનો આગ્રહ રાખે છે, જ્યારે કેટલાક લોકોને આસાનીથી પ્રાપ્ત એવાં બોટલબદ્ધ વિદેશી ઠંડાં પીણાં પીવાનો શોખ છે, ત્યારે આવો વાંચીએ સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક સાબિત થઈ શકે છે તેમનો આ શોખ…
કોકા, મિરિન્ડા, પેપ્સીને કહો ના,
આ આપણાં પીણાંને કહો હા…
સૂર્યદેવતા સર્વત્ર ગરમીનો પ્રકોપ બતાવી રહ્યા છે, ત્યારે તમામ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાં સહિતના નવા નવા નુસખા અપનાવતા હોય છે. ભારતીય જીવનપદ્ધતિની જેમ તેની ખાણી-પીણી અને પોશાકકલા પણ અદ્ભુત છે ત્યારે આ આહારકલામાં કાળઝાળ ગરમીમાં રાહત અને ઠંડક આપતાં અનેક સ્વાસ્થ્યપ્રદ પીણાંનો ઉલ્લેખ છે, જે આપણી તરસ છિપાવવાની સાથે સાથે શરીરને પોષક તત્ત્વો પણ પૂરાં પાડે છે. વળી આ પીણાંની સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર પણ થતી નથી. આજે પણ આપણા દેશમાં આ પ્રકારનાં પરંપરાગત પીણાંનો ક્રેઝ યથાવત્ છે. નાનાં ગામડાં, નગરોથી માંડી મહાનગરોમાં પણ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો આ પ્રકારનાં પરંપરાગત પીણાંઓને પ્રાધાન્ય આપે છે. આ પ્રકારનાં ઠંડા પીણાંઓની વાત કરીએ તો તેમાં લીંબુ શરબત, શેરડી રસ, આમળાં શરબત, નારંગી શરબત, આમલી અને કાચી કેરીનો રસ, અનનાસ શરબત, ગાજર રસ, નારિયેળ પાણી અને નીરો, દાડમ શરબત, મોસંબી શરબત, તરબૂચ શરબત, કેરીનો રસ, જલજીરા, બીટનો રસ, કાકડીનો જ્યુસ, છાશ, કોકમ શરબત, ગાયનું દૂધ વગેરેનો સમાવેશ થાય છે. આ પીણાંઓ શરીરને અનેક પ્રકારનાં પોષક તત્ત્વોથી સ્વસ્થ રાખે છે.
વાત વિદેશી ઠંડાં પીણાંની…
વિશ્વમાં પીણાંઓનું જે વેચાણ થાય છે તેમાં ઠંડાં પીણાંનું સ્થાન ત્રીજા નંબરે છે. હાલના અંદાજ મુજબ દર વર્ષે તેમાં 8 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2001માં વિશ્વમાં દર વર્ષે લગભગ 41,200 લાખ લિટર કાર્બોદિત (કાર્બો-હાઇડ્રેટ)વાળાં ઠંડાં પીણાંનું વેચાણ થતું હતું જ્યારે હાલ આપણા દેશમાં જ 11,000 કરોડનાં ઠંડાં પીણાંનું વેચાણ થાય છે અને આ વેચાણમાં 95% પેપ્સી અને કોકાકોલાનો (58% કોકાકોલા અને 37% પેપ્સી) સિંહફાળો છે.
આપણા દેશમાં કોકાકોલાનાં બાવન જેટલાં ઉત્પાદન કેન્દ્રો છે, જેમાંનાં 20 કેન્દ્રો પર કંપની સીધેસીધું જ ઉત્પાદન કરે છે, બાકીનાં કેન્દ્રો પર અન્ય કંપનીઓ પાસે કોન્ટ્રાક્ટ દ્વારા ઉત્પાદન કરાવે છે. આ જ રીતે દેશમાં પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડરિંગ પ્રા. લિ.નાં 28 કેન્દ્રો છે, જેમાંથી 17 પર પેપ્સી દ્વારા સીધું જ ઉત્પાદન કરાય છે, જ્યારે બાકીનાં કેન્દ્રો પર કંપની કોન્ટ્રાક્ટ દ્વારા કરાવે છે. આ થઈ કોકાકોલા અને પેપ્સી જેવાં ઠંડાં પીણાંના ઉત્પાદન અને ભારતમાં તેના બજારની વાત. હવે એક નજર આ ઠંડાં પીણાંની બનાવટની રીત પર.
વિદેશી ઠંડાં પીણાંમાં અનેક ઝેરી તત્ત્વોની કોકટેલ હોય છે
કોલામાં 90% સુધી પાણી હોય છે, જ્યારે બાકીના ઘટકોમાં, સુગંધ માટે કેફીન, સ્વાદ માટે ખાંડ, એસ્પોર્ટસેક્રીન જેવાં દ્રવ્યો ભેળવવામાં આવે છે. પીણાના ઘટ્ટ રંગ માટે કેરમેલ બીટા, કેરોટીન તો સ્વાદના સંતુલન માટે ફોસ્ફરિક એસિડ જેવા તીવ્ર પદાર્થો મિરશ્રત કરવામાં આવે છે. પીણાને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેમાં પોટેશિયમ સાર્બેટ, સલ્ફર ડાયોક્સાઇડ, બેન્ઝોનેટ અને સ્વાદ જળવાઈ રહે તે માટે એસ્કોરોબિક એસિડ ભેળવવામાં આવે છે. પીણામાંનાં તમામ દ્રવ્યોનું પ્રમાણ યોગ્ય સ્તરે જળવાઈ રહે તે માટે પેક્ટીન નામનું દ્રવ્ય ઉમેરવામાં આવે છે અને છેલ્લે તેમાં બડબડિયા ફુવારા ઊડે એ માટે કાર્બન ડાયોક્સાઇડને ખાસ દબાણ આપીને ઉમેરવામાં આવે છે. આમ તૈયાર થાય છે આપણા શરીરમાં ઝણઝણિયા બોલાવી દેનારાં ઠંડાં પીણાંની કોકટેલ.
વિદેશી ઠંડાં પીણાંનું સેવન કરતાં પહેલાં આટલું યાદ કરજો
આગળ જણાવ્યું તે મુજબનાં વિદેશી ઠંડાં પીણાંમાં જે દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામેતમામ આપણા શરીરને અને સ્વાસ્થ્યને ગંભીર અસરો પહોંચાડવા પૂરતાં છે. જાણવા જેવી વાત એ છે કે, આ પ્રકારનાં પીણાંઓમાં એક તરફ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તત્ત્વો ઠાંસી ઠાંસીને ભરાય છે, જ્યારે બીજી તરફ તેના કાચા માલ પાણીમાંથી જીવનના આધાર ઘટક એટલે કે પ્રાણવાયુનું પ્રમાણ લગભગ ન હોવા બરાબર કરી નખાય છે. એટલું જ નહિ, પાણીમાંથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન કાઢી નખાયા પછી એ જ પાણીમાં પીણામાં બડબડિયાં ઊડે એટલા માટે તેમાં ભારે દબાણપૂર્વક કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે, જેને આપણું શરીર સતત ઉચ્છ્વાસ મારફતે બહાર ફેંક્યા કરે છે, પરંતુ આપણે કોકાકોલા અને પેપ્સી જેવાં વિદેશી ઠંડાં પીણાં મારફતે સતત આપણા શરીરમાં ઠાલવ્યે રાખીએ છીએ. આ પ્રકારનાં વિદેશી કાર્બોદિત ઠંડાં પીણાંમાં જે ફોસ્ફરિક એસિડ મોટી માત્રામાં ભેળવવામાં આવે છે તેને આપણું વૈદિકશાસ્ત્ર હંમેશાં નકારવાની વાત કરે છે. વૈદિકશાસ્ત્ર કહે છે કે, બીમારીને આમંત્રણ આપનારા જંતુઓને એસિડ વધુ માફક આવતા હોવાથી સ્વાસ્થ્ય ઇચ્છનાર લોકોએ એસિડિક તત્ત્વોથી પોતાના શરીરને મુક્ત રાખવું અને કોક અને પેપ્સી જેવાં વિદેશી ઠંડાં પીણાંમાં આવાં એસિડિક તત્ત્વો એટલી બધી માત્રામાં હોય છે કે, આપણો એક દાંત જો અઠવાડિયા સુધી તેમાં નાખી રાખવામાં આવે તો અઠવાડિયા બાદ દાંત તેમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે. કોકાકોલાને પથ્થર પર નાખીએ તો પથ્થર પણ એકદમ સફાચટ થઈ જાય છે. યોગગુરુ બાબા રામદેવ એટલે જ કોકાકોલાને ટોઇલેટ ક્લીનર કહે છે. અનેક ખેડૂતો પાકમાંની જીવાતો મારવા દવાઓમાં આ પ્રકારનાં કાર્બોદિત પીણાં ભેળવી છાંટે છે ત્યારે આ પ્રકારનાં વિદેશી ઠંડાં પીણાં પીવામાં પોતાનું સ્ટેટસ જોતા લોકોએ જ વિચારવું રહ્યું કે જે ઠંડા પીણાંમાં ભેળવાતાં એસિડિક તત્ત્વોને આપણાં વૈદિકશાસ્ત્રોએ બીમારીનું ઘર કહ્યાં છે, જેના સંપર્કમાં આવવા માત્રથી પથ્થર પણ સફાચટ થઈ જાય છે તે પીણાં શરીરમાં ઠલવાતાં શરીર અને પેટની તો શી હાલત કરશે?
અઢી રૂપિયાની બોટલ 10 રૂપિયાની!
એક અહેવાલ મુજબ મોટાં શહેરોમાં જ દર વર્ષે આ પ્રકારનાં ઠંડાં પીણાંઓની 50થી 60 લાખ બોટલ્સ વેચાય છે અને કંપનીઓ વાર્ષિક વકરો રૂ. 11,000 કરોડનો રળી લે છે. આ પીણાંઓની પડતર કિંમતની વાત કરીએ તો માત્ર 80 પૈસાની આસપાસ છે. તેમાં વિતરણ કમિશન અને ઉદ્યોગ અંગેના અન્ય ખર્ચાઓ ઉમેરીએ તો પણ એક બોટલની કિંમત માત્ર રૂ. 2.50 જેટલી જ થાય છે. જ્યારે કંપની આ બોટલ બજારમાં 10 રૂપિયામાં વેચે છે. આનો અર્થ એ થયો કે એક તરફ આ કંપનીઓ આપણા પીણાને સાવ મફતના ભાવમાં મેળવે છે, ઉપરથી દર વર્ષે આપણા ગજવામાંથી 11,000 કરોડ રૂપિયા સેરવી લે છે. ઉપરથી વિપુલ માત્રામાં પાણી ખેંચી લેવાને કારણે આપણા દેશના સામાન્ય માનવી અને ખેડૂતો પાણી માટે વલખાં મારે છે એ ખોટમાં.
બધી ખાંડ આ કંપનીઓ ખરીદી લે છે
વાત હજી આટલેથી જ અટકતી નથી. આપણા દેશમાં કોકાકોલા અને પેપ્સી ખાંડની સૌથી મોટી ખરીદદાર કંપનીઓ છે. કોકાકોલા વર્ષે 2.5 લાખ ટન ખાંડ ખરીદી લે છે, જ્યારે પેપ્સી વાર્ષિક 1.5 લાખ ટન ખાંડ ખરીદે છે. આમ બન્ને થઈ વાર્ષિક 4 લાખ ટન જેટલી ખાંડ ખરીદી લે છે. જો આ ખાંડ દેશના ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને આપવામાં આવે તો દેશના 28 કરોડ પરિવારોને મળી શકે છે.
ઠંડાં પીણાંનો બહિષ્કાર કેમ નહિ?
જોકે આગળ જણાવ્યું તેમ કેટલાંક સામાજિક સંગઠનોના સતત જાગૃતિ અભિયાનને કારણે શહેરોમાં ફરી એક વખત વિદેશી ઠંડાં પીણાંના વેચાણમાં 20%નો ઘટાડો જરૂરથી નોંધાયો છે, પરંતુ ચાલાક કંપનીઓએ પોતાની આ ખોટને સરભર કરવા માટે ગામડાંઓને નિશાન બનાવી ઠેર-ઠેર ફ્રિજ મુકાવી આ 20 ટકાની ખોટ સરભર કરી લીધી છે. આટઆટલાં અભિયાનો છતાં પણ આપણે જાગૃત બની આ પ્રકારની હાનિકારક વસ્તુઓ ત્યજવાનું નામ જ નથી લેતા. ક્યારેક તેનાં ગંભીર પરિણામોની અસર વર્તાતાં સરકાર અને આપણે થોડા સમય માટે આ મુદ્દે સંવેદનશીલ જરૂર બની જઈએ છીએ, પરંતુ બધું જ થોડા સમય માટે જ, બાદમાં જિંદગી એની એ બેફિકર લયમાં ચાલતી રહે છે. અને આપણી સરકાર પણ અર્થવ્યવસ્થાની મજબૂરી આગળ ધરી આ મુદ્દે કોઈ સંવેદનશીલતા ન દાખવે ત્યારે આ પ્રકારનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવાં ઠંડાં પીણાંનો બહિષ્કાર આપણે જ કરવો પડશે. પશ્ચિમ જગતની જનતા હવે સ્વાસ્થ્ય માટે જાગૃત બની કાર્બોદિકીય ઠંડાં પીણાંનો અઘોષિત બહિષ્કાર કરી રહી છે આપણા દેશની જનતા પણ આ મુદ્દે પશ્ચિમનું અનુકરણ કરે.
રિસર્ચ કહે છે… ઠંડા મતલબ ઝેરી પીણાં
અમેરિકન હાર્ટ એસોસિયેશનના સંશોધન મુજબ વિશ્વમાં દર વર્ષે 1 લાખ 80 હજાર મૃત્યુ કાર્બોદકીય ઠંડાં પીણાં પીવાને કારણે થાય છે.
ફોર્ટિસ હાસ્પિટલના ડો. નીતુ તલવારના જણાવ્યા મુજબ સોફ્ટ ડ્રિન્કમાં હયાત કેરેમલ શરીરને ઇન્સ્યુલિન અવરોધક બનાવે છે, તેનાથી ઠંડાં પીણાંની ખાંડ પચતી નથી.
અમેરિકાના ભૂતપૂર્વ એફડીએ કમિશનર ડો. જેરેઇન ગોયન કહે છે, જે પીણાંની 12 ઔંસની બોટલમાં 50 મિલીગ્રામથી વધારે કેફીન હોય અને તેનું સેવન ગર્ભવતી મહિલા કરે તો જન્મ લેનાર બાળક માટે કાયમી અપંગ બનવાનો ખતરો વધી જાય છે.
અમેરિકી ડોક્ટર મેરીરૂથ કહે છે, કાર્બોદકીય ઠંડાં પીણાંમાં જે સોડિયમ હોય છે એ લોહીના દબાણનો વિકાર, મૂત્રવિકાર, એડ્રેનીલ, થાઇરોઈડ, પિચ્યુટરી ગ્રંથિ, રક્તવાહિનીઓની સખતાઈવાળા દર્દી માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.
2004માં લંડનના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે, કુમળી વયનાં બાળકોને કાર્બોદકીય ઠંડાં પીણાંથી દૂર જ રાખજો, નહિ તો તેમના દાંત અને પેઢાંને લગતી ગંભીર બીમારીઓનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
વૈદિકશાસ્ત્ર કહે છે કે, બીમારીને આમંત્રણ આપનાર જંતુઓને એસિડ વધુ માફક આવતો હોવાથી સ્વાસ્થ્ય ઇચ્છનારા લોકોએ આ પ્રકારનાં એસિડિક તત્ત્વોથી પોતાના શરીરને મુક્ત જ રાખવું. વિદેશી ઠંડાં પીણાંમાં આ પ્રકારનાં એસિડિક તત્ત્વો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે.
ધીમું ઝેર…
વિદેશી ઠંડાં પીણાં ગળામાં ઊતરતાંની સાથે જ જે અસર કરે છે એ કોઈ ધીમા ઝેરથી કમ નથી ત્યારે એક નજર એ વિશેની અસર પર. ઠંડાં પીણાંની એક બોટલ પીધા પછી 10 મિનિટમાં 10 ચમચી જેટલી ખાંડ આપણા શરીરની અંદર જતી હોય છે, પરંતુ આ પીણાંઓમાં રહેલો ફોસ્ફરિક એસિડ આપણને આ વધારાની મીઠાશનો અનુભવ થવા દેતું નથી. જો આ એસિડ તેમાં ન હોય તો આપણું શરીર ઊલટી દ્વારા એ મીઠાશને બહાર ફેંકી દે છે. 20 મિનિટ પછી બ્લડસુગર ઝડપથી વધવા માંડે છે જે શરીરને આટલી ખાંડ પંચાવવા માટે ઇન્સ્યુલિન વિસ્ફોટ માટે મજબૂર કરે છે. લિવર તેની પ્રતિક્રિયાના ભાગરૂપે શર્કરાને ફેટમાં પરિવર્તિત કરે છે એટલે સફળતા વધે છે. 40 મિનિટ પછી સોફ્ટ ડ્રિન્કનું કેફીન શરીરમાં સમાઈ જાય છે. આંખોની કીકીઓ વધુ ખુલ્લી થાય છે. બ્લડપ્રેશર વધી જાય છે. હૃદયને વધુ ઊર્જાની જરૂર પડે છે, પરિણામે લિવર શર્કરાને લોહીમાં પંપ કરે છે. 45 મિનિટ પછી શરીરમાં ડોયામાઇન નામનું કેમિકલ બને છે. હેરોઇનનો નશો કર્યા પછી પણ આ જ રીતે ડોયામાઇન પેદા થાય છે. તેનાથી મગજને નશાની અનુભૂતિ થાય છે અને મગજને ધીમે-ધીમે આ પીણાંઓની લત લાગી જાય છે. 60 મિનિટ પછી ફોસ્ફરિક એસિડ શરીર માટે મહત્ત્વપૂર્ણ એવાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંકને આંતરડામાં બાંધી દે છે. તેના પર કેફીન અસર કરે છે અને પેશાબ દ્વારા તેને શરીરની બહાર ફેંકી દે છે, એટલે થાક અને ડિહાઇડ્રેશન થાય છે.
અને ઉંદરના દાંત ઓગળી ગયા
અમેરિકાની નેવલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડો. ક્લાઇવે કોલામાં વપરાતાં એસિડિક તત્ત્વો દાંત માટે કેટલાં નુકસાનકારક સાબિત થઈ શકે છે તે જાણવા કોલાથી ભરેલા એક ગ્લાસમાં દાંતનો એક ટુકડો નાખ્યો, બે દિવસ બાદ એ ટુકડો નરમ થવા લાગ્યો હતો. તેઓએ આગળ વધી કેટલાક ઉંદરોને પીવાના પાણીને બદલે છ માસ સુધી કોલા આપી, છ મહિના બાદ એ તમામ ઉંદરોના દાંત ઓગળી ગયા હતા.
અને અમિતાભે પેપ્સી સાથેનો કરાર તોડી નાખ્યો
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું હતું કે, તેણે પેપ્સી સાથે 24 કરોડનો કરાર એટલા માટે તોડી નાખ્યો હતો, કારણ કે એક બાળકીએ તેઓને કાલીઘેલી ભાષામાં પૂછ્યું હતું કે અમારા ટીચર ઠંડાં પીણાંઓ ઝેરી હોવાનું કહે છે, તો પછી તમે પેપ્સીની જાહેરાત કેમ કરો છો? નિર્દોષ બાળકીના આ સવાલ પછી બચ્ચને પેપ્સી સાથેનો કરાર રદ કર્યો હતો, પરંતુ બોલીવુડના બધા જ અભિનેતાઓ અમિતાભ બચ્ચન જેવા નથી. હાલ આપણાં અભિનેતા-અભિનેત્રીઓ અઢળક નાણાં માટે પેપ્સી અને કોકાકોલા જેવી ઠંડાં પીણાંની જાહેરાત કરવા પડાપડી કરે છે. દીપિકા પદુકોણ જે 2009 સુધી પેપ્સીની બ્રાન્ડ એમ્બેસેડર હતી, તે હવે કોકાકોલાનાં ગુણગાન ગાઈ રહી છે. આમિર ખાન, સચિન તેન્ડુલકર, શાહરુખ ખાન, અક્ષય કુમાર, હૃતિક રોશન, ઐશ્વર્યા રાય, કરીના કપૂર, કાજોલથી માંડી લગભગ તમામ અભિનેતા-અભિનેત્રીઓ, પૈસા લઈ જનતાને જે તે કંપનીનાં ઠંડાં પીણાં પીવાની અપીલ કરતાં હોય છે. આ માટે તેમને કરોડો રૂપિયા મળે છે, પરંતુ જનતાને શું મળે છે? અનેક બીમારીઓ અને આ પ્રકારનાં પીણાં પીવાની કાયમની લત?

લેખક ‘સાધના’ સાપ્તાહિકના ’સોશિયલ મિડિયા એડિટર છે . (સંદર્ભઃ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની ‘ઠંડી બોટલમાં બંધ ઝેરીલી આગ’ પુસ્તિકા, અમેરિકન હાર્ટ એસોસિયેશન, ડબ્લ્યુએચઓ અહેવાલ, હેલ્થ ઇન્ડિયા ડોટકોમ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here