નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુરુવારે ૭૦મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટીએ આ માટે ખાસ તૈયારીઓ કરી છે. આ અવસરે ભાજપે સેવા સપ્તાહનો શુભારંભ કર્યો છે. જે ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત સેવા સપ્તાહમાં મંડળથી લઈને બૂથ સ્તરની દરેક શાખાના કાર્યકરો પોત પોતાના સ્થાનો પર સેવાના અલગ અલગ કામ કરશે. આ અંગે પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જણાવ્યું કે ભલે તે હોસ્પિટલમાં ફળ વિતરણ હોય, બાળકોને પુસ્તક ઉપલબ્ધ કરાવવાનું હોય, રક્તદાન જેવા અનેક કાર્યો કરવામાં આવશે.
૧૪મીથી ૨૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ દેશવ્યાપી સેવા સપ્તાહ અભિયાન હેઠળ જે. પી. નડ્ડાએ તમામ સંગઠનાત્મક શાખાઓ અને કાર્યકર્તાઓને અલગ અલગ સેવા ગતિવિધિઓ આયોજિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ અગાઉ મંગળવારે ભાજપ કેન્દ્રીય કાર્યાલય પર વડા પ્રધાનના ૭૦મા જન્મદિવસના અવસરે આયોજિત સેવા સપ્તાહના પ્રર્દશનનો શુભારંભ કરાયો. આ અવસરે પાર્ટી અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાંથી પ્રેરણા લઈને ભાજપના દરેક કાર્યકર જનસેવાના કાર્યમાં તત્પરતાથી લાગેલો છે. સોમવારે જે. પી. નડ્ડાએ યુપીના ગૌતમબુદ્ધ નગરમાં સેવા સપ્તાહનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન તેમણે વડા પ્રધાન મોદીના વિકાસકાર્યોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વડા પ્રધાન પદે રહીને નરેન્દ્ર મોદીએ ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું છે. કોરોના જેવા મુશ્કેલ સમયમાં પણ મોદીએ ગરીબ, મજૂરો, ખેડૂતો અને શ્રમિકો માટે રાશનથી લઈને આર્થિક મદદના કામો કર્યાં છે.