તાજેતરમાં 13મી ફેબ્રુઆરી અને મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રીના રોજ લોસ એન્જલસનાં મંદિરો ઓમ નમઃ શિવાયના ઉદ્ઘોષથી ગુંજી ઊઠ્યાં. પ્લસેન્શિયાસ્થિત શ્રી રાધા-રમણ વૈદિક ટેમ્પલમાં મહાશિવરાત્રિની ઉજવણી નિમિત્તે દર વર્ષની જેમ આનંદ-ઉલ્લાસ સાથે ભજન-ગીતસંગીત અને ધૂન સાથે ભાવિક ભક્તો ભક્તિમાં લીન થયા હતા. સૌ ભક્તોએ રુદ્રાભિષેકનો કાર્યક્રમ ખૂબ જ ભાવથી માણ્યો હતો. સમસ્ત ભક્તો માટે દીપક પટેલ તરફથી ઢંડાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદની વ્યવસ્થા શારદાબહેન આત્મારામ પટેલ તરફથી કરવામાં આવી હતી, આખો દિવસ મંદિર ખુલ્લું રખાયું હતું અને સૌને અભિષેક કરવાનો લહાવો મળ્યો હતો.
સંધ્યા આરતી પછી રાધા-રમણ મંદિરમાં લગભગ 350 જેટલા ભક્તોએ (ફરાળી) પ્રસાદી આરોગી હતી. આ પર્વને સફળ બનાવવામાં મંદિરના મહંત રઘુનંદન પ્રભુ અને કેશવદાસે પણ સુંદર જહેમત ઉઠાવી હતી. નોર્વોકસ્થિત શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં પણ ભાવિક ભક્તો બપોરથી આવવા લાગ્યા હતા. મંદિરના મહંત ભરતભાઈ રાજગોર તથા નલિનીબહેન રાજગોરે સૌને વિધિ-વિધાનપૂર્વક શિવલિંગનું પૂજન તથા અભિષેક કરાવ્યો હતો. ભાવિકોએ આ પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.