લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાને પ્રચાર મંગળવાર 9 એપ્રિલની સાંજે બંધ થયો છે. પ્રથમ તબક્કામાં દેશના 20 રાજ્યોમાં 91 સંસદીય બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. લોકસભાની કુલ 543 બેઠકો છે. બહુમતી મેળવવા માટે 272 બેઠકો જીતવી જરૂરી છે. ચૂંઠણી પંચની આચારસંહિતાને અનુસરીને મતદાન અગાઉના 48 કલાક પહેલા તમામ પ્રકારનો પ્રચાર બંધ કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના પશ્ચિમ બંગાળમાં પણ 11 એપ્રિલે કેટલાક સંસદીય બેઠક વિસ્તારોમાં મતદાન થવાનું છે. મમતા બેનરજીએ પણ મંગળવારે બે પ્રચારસભાઓ સંબોધી હતી. જેમાં તેમમએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની તુલના મહાભારતના દુર્યોધન અને દુશાસન સાથે કરી હતી. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, મોદીને રાજકારણમાં રમખાણો અને નરસંહારની દીક્ષા મળી છે. તેમણે 2002ના ગુજરાતના રમખાણોમાં જે ભૂમિકા ભજવી હતી તે આપણે કયારેય ભૂલી શકીશું નહિ. જો આજે હિટલર જીવંત હોત તો મોદીજીની ગતિવિધિ જોઈને એણે આત્મહત્યા કરી હોત.