લોકડાઉનના પગલે ૬૦ લાખ પરિવારોને એક મહિનાનું રેશન વિનામૂલ્યે આપવા નિર્ણય

 

ગાંધીનગરઃ કોરોનાની મહામારીનો મુકાબલો કરવા દેશભરમાં લાગુ કરાયેલા ૨૧ દિવસના લોકડાઉનના પગલે જેમની સામે દૈનિક આવશ્યક ખાદ્યસામગ્રી- ચીજવસ્તુઓની સમસ્યા સર્જાઈ છે તેવા રોજનું કમાઈ રોજ ખાનારા શ્રમજીવીઓ, ગરીબો અંગે ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ૬૦ લાખ પરિવારોને એક મહિનાનું રેશન વિનામૂલ્યે આપવામાં આવશે આ નિર્ણયનો લાભ સવા ત્રણ કરોડ લોકોને છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારના આ નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ૨૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાતમાં શ્રમજીવી વર્ગો રોજનું કમાઈને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોના ૩.૨૫ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઈ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકારમાન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યક્તિ દીઠ ૩.૫૦ કિલો ઘઉં, વ્યક્તિદીઠ ૧.૫૦ કિલો ચોખા અને કુટુંબદીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠું વિનામૂલ્યે આપશે.

જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઈ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે એમ પણ તેમણે જણાવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌ નાગરિક ભાઈ-બહેનોને ફરી એકવાર અપીલ કરી કે આ ૨૧ દિવસ દરમ્યાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતી માત્રામાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની પણ કોઈ પણ જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here